)
Congress Mission Gujarat Campaign: અમદાવાદ સંમેલન બાદ ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય બની છે. પાર્ટીએ આજે 14 એપ્રિલથી ‘સંવિધાન બચાવો યાત્રા’ ની શરૂઆત કરી છે. આ વચ્ચે રાહુલ ગાંધી આવતીકાલે 15 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આંબેડકર જયંતી પર આ યાત્રાનો પ્રતિકાત્મક પ્રારંભ કરાશે.
આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતમાં
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક અઠવાડિયામાં બીજી વાર ગુજરાતની મુલાકાતે છે. આવતીકાલે અમદાવાદ ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધી ખાસ બેઠક કરશે. એઆઇસીસીના 43 નિરીક્ષકો અને સાત સહ નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરિક્ષકો સાથે ઓરીએન્ટેશન બેઠક યોજશે. તો 16 તારીખે સંગઠન સર્જન અભિયાનનો શુભારંભ મોડાસાથી પાયલટ પ્રોજેક્ટથી કરાવશે. 16 તારીખે અરવલ્લીના મોડાસા ખાતે રાહુલ ગાંધી કાર્યકર સંવાદ કરશે.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક અઠવાડીયામાં બીજી વાર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે એઆઈસીસીના સંગઠનના ફેરફારના શ્રી ગણેશ ગુજરાતથી થશે. એઆઇસીસીએ વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. ત્યારે સંગઠન સર્જન અભિયાન પાઇલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરુઆત થશે.
પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર ગુજરાત કોંગ્રેસમાં આ બધાને લઈને મંથન ચાલી રહ્યું છે. અત્યાર સુધી અમે બધા AICC સત્રની વ્યવસ્થામાં વ્યસ્ત હતા. અમે હવે અમારી ભાવિ યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છીએ. આગામી એક દિવસમાં તમામ બાબતોનો નિર્ણય લેવામાં આવશે.
જિગ્નેશ મેવાણીને મળી શકે છે મોટી જવાબદારી
સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાત્રા આંબેડકર જયંતિના દિવસે પ્રતીકાત્મક રીતે શરૂ કરવામાં આવશે, ત્યારબાદ તે સતત ચાલુ રહેશે કે પછી થોડા દિવસો પછી તેની ઔપચારિક શરૂઆત કરવામાં આવશે, આ અંગે વિચારણા ચાલી રહી છે. સામાજિક કાર્યકર અને યુવા નેતા જિગ્નેશ મેવાણી તેનો મહત્વનો ચહેરો બની શકે છે. મેવાણી આ યાત્રાનો સક્રિય ભાગ રહેશે. પાર્ટી આમાં તેના સમગ્ર રાજ્ય એકમને સામેલ કરવાની યોજના બનાવી રહી છે. આ યાત્રા દરેક જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં જશે. પાર્ટી ત્યાંના લોકોની વચ્ચે જશે અને જણાવશે કે કેવી રીતે ભાજપ બંધારણ અને સંસ્થાઓ પર હુમલો કરી રહી છે. પાર્ટી આ કવાયત દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. આમાં પાર્ટી દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ સુધી પહોંચશે અને તેમને જણાવશે કે ભાજપ સરકારમાં તમારા અધિકારો કેવી રીતે જોખમમાં છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ એક મોટું પગલું ભર્યું છે. સંગઠન નિર્માણ અભિયાન અંતર્ગત 41 રાષ્ટ્રીય ઓર્બ્ઝવર અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિમણૂંકોને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે.