Rahul Gandhi Gujarat Visit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જે કોંગ્રેસના મિશન 2027 માટેની ગંભીરતા દર્શાવે છે. સુરતમાં યોજાનારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં તેઓ હાજરી આપશે, જ્યાં પક્ષને સ્થાનિક સ્તરે મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Rahul Gandhi: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલાં જ કોંગ્રેસમાં રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ એક મોટું નિવેદન આપતાં દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી (AAP) ના અનેક નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના સંપર્કમાં છે અને પક્ષમાં જોડાવા ઉત્સુક છે. તુષાર ચૌધરીએ જણાવ્યું કે AAP માં કોઈ ભવિષ્ય નથી, અને એટલે જ અનેક કાર્યકરો પોતાનું સ્થાન શોધી રહ્યા છે. આ નિવેદનને સમર્થન આપતા તેમણે કચ્છ, ગાંધીનગર અને અમદાવાદના AAP નેતાઓના કોંગ્રેસમાં જોડાવાનો ઉલ્લેખ પણ કર્યો.
ખાસ કરીને કોંગ્રેસ 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPના કારણે થયેલા મતવિભાજનથી થયેલા નુકસાનથી વાકેફ છે. બારડોલી લોકસભા બેઠકનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે AAPના કારણે કોંગ્રેસના મતો વહેંચાઈ ગયા હતા. હવે જ્યારે AAP પોતાનો જનાધાર ગુમાવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને તેમને પોતાના પક્ષમાં સમાવી લેવા તૈયાર છે. એટલું જ નહીં, કોંગ્રેસે આ નેતાઓને આવનારી ચૂંટણીમાં ઉમેદવારી આપવાની પણ ખાતરી આપી છે.
સ્થાનિક સ્તરે મજબૂતીકરણ પર ભાર
રાહુલ ગાંધીની સુરત મુલાકાતનો મુખ્ય હેતુ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવાનો છે. 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં પક્ષને સ્થાનિક સ્તરે કેવી રીતે સક્રિય અને મજબૂત બનાવવો તે અંગેની રણનીતિ પર કામ કરવામાં આવશે. આ કાર્યક્રમ દર્શાવે છે કે કોંગ્રેસ હવે માત્ર મોટા નેતાઓ પર નિર્ભર રહેવાને બદલે પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. આ પ્રયાસો 2027ની વિધાનસભા ચૂંટણી માટે પાયો નાખશે.
રાહુલ ગાંધીની આ મુલાકાત અને કોંગ્રેસની સક્રિયતા ગુજરાતના રાજકારણમાં નવો જોશ ભરી રહી છે. શું કોંગ્રેસ AAP ના મતદારો અને કાર્યકરોને પોતાના પક્ષમાં લાવીને 2027માં મજબૂત વિપક્ષ તરીકે ઊભરી શકશે, તે જોવું રસપ્રદ રહેશે.