મૃત્યુઆંક 4 પર પહોંચ્યો! રાજકોટ સિટી બસ અકસ્માત મુદ્દે સહાયની જાહેરાત; અંતે ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
Rajkot city bus accident: રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માતની વણઝાર સર્જી હોવાની ઘટના સામે આવી છે. સિટી બસ ચાલકે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારતા છ લોકો સિટી બસની અડફેટે ચડી ગયા હતા.
Trending Photos
રાજકોટ સિટી બસ અકસ્માત મામલે મ્યુ.કમિશ્નર તુષાર સુમેરાએ સહાયની જાહેરાત કરી છે. મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય ચુકવવામાં આવશે. રંગીલું રાજકોટ આજે રક્ત રંજિત બન્યું. શહેરના વ્યસ્ત એવા ઈન્દિરા સર્કલ વિસ્તારમાં કાળમુખી સિટી બસે અનેક લોકોને અડફેટે લીધા. જેના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા. અકસ્માતના સીટીટીવી ફૂટેજ સામે આવ્યા. જેમાં જોઈ શકાય છે કે, જેવું સિગ્નલ ખુલે છે એવું જ સિટી બસનો ચાલક બેફામ રીતે બસ ચલાવે છે અને અનેક વાહનોને અડફેટે લે છે. જેમાંથી ચાર લોકોના મૃત્યુ થઈ જાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે તેને જોઈને લોકો ખૂબ જ રોષે ભરાયા અને બસ પર પથ્થરમારો કર્યો. બસનો ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે.
અકસ્માતમાં પરિવારજનને ગુમાવનાર સ્વજનોમાં આક્રોશ જોવા મળ્યો. આરોપી ડ્રાઈવરને ઘટના સ્થળે લાવવાની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જો કે, બાદમાં મૃતદેહ ઘટના સ્થળેથી પોસ્ટ મોર્ટમ માટે સિવિલ લઈ જવામાં આવ્યા. ધારાસભ્ય દર્શિતા શાહ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી. સવાલ એ છે કે, શું સિટી બસના ડ્રાઈવરને તંત્રએ બેફામ રીતે બસ ચલાવવાની છૂટ આપી છે? શું સિટી બસના ડ્રાઈવરે યમદૂતની જેમ બસ ચલાવવની છૂટ મળી જાય છે? બેફામ રીતે સિટી બસ ચલાવાતી હોવાની ફરિયાદ જનતા અનેકવાર કરી ચુકી છે. પરંતુ તંત્ર ઊંઘી રહ્યું છે કે શું?
રાજકોટમાં આજે સીટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલ અકસ્માતનો મામલે મૃત્યુ આંક 4 પર પહોંચ્યો છે. જેમાં મૃતકોમાં બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ આ વિશે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે સીસીટીવી જોતા એવું લાગી રહ્યું છે કે ડ્રાઇવર બ્રેક નથી મારી શક્યો અથવા તો તેનાથી બ્રેક નથી લાગી. ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ડ્રાઇવર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડ્રાઇવર હાલ સારવાર હેઠળ છે.
અકસ્માતમાં મૃતકોના નામ :
- કિરણ બેન કક્કડ
- ચિન્મયભાઈ ઉર્ફે લાલો જીગ્નેશ ભટ્ટ
- રાજુભાઈ મનુભાઈ ગીડા ઉ.વ 35
- સંગીતા બેન નેપાળી ઉ.વ 40
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાય ડ્રાઇવરના બ્લડ સેમ્પલ લેવાના આદેશ આપ્યા છે. ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટના અમારા માટે પણ દુખદ છે. આ ઘટનામાં દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવશે. મૃતક રાજુભાઈ ગીડા rmcના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા હતા.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન ઠાકર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અકસ્માત સર્જનાર ડ્રાઇવર સારવાર હેઠળ છે તેની મુલાકાત લીધી હતી. બીજી બાજુ બસના ડ્રાઇવર સામે RMCમાં ફરિયાદ નોંધાઇ છે. બસના ડ્રાઇવરનું નામ શિશુપાલસિંહ ઝાલા છે. ડ્રાઇવરને સ્થાનિકોએ માર મારતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટમાં આજે 4 લોકોની જિંદગી હણી લેનાર E2 52 નંબરની ઇલેક્ટ્રિક સિટી બસ હતી.
મહત્વનું છે કે રાજકોટમાં બનેલી ઘટના બાદ ત્રણેય મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. ડીસીપી ઝોન-2 સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોની વાત કરીએ તો સુરેશ ધર્મેશભાઈ રાવલ અને વિશાલ મકવાણાનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે