રાજકોટ: બોટાદના 'વેદ'એ આપ્યું ત્રણ જિંદગીને જીવન, થઇ ગયો અમર, સમાજને ચિંધી નવી રાહ

રાજકોટમાં આજે પ્રથમ વખત સૌથી નાની વયના બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. બોટાદના માધ્યમ વર્ગના 2 વર્ષીય 'વેદ'ને બ્રેઇન ટ્યુમર હોવાથી રાજકોટમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થયું હતું. પરિવારજનોએ ભારે હૈયે વ્હાલસોયા 'વેદ'ને અન્ય જિંદગીમાં હૈયાત રાખવાનો નિર્ણય કર્યો હતો. વેદની બન્ને કિડની અને આંખો દાન કરી અને 'વેદ' એક નહિ પણ ત્રણ-ત્રણ જિંદગીને જીવન આપી ગયો છે.
રાજકોટ: બોટાદના 'વેદ'એ આપ્યું ત્રણ જિંદગીને જીવન, થઇ ગયો અમર, સમાજને ચિંધી નવી રાહ

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં આજે પ્રથમ વખત સૌથી નાની વયના બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. બોટાદના માધ્યમ વર્ગના 2 વર્ષીય 'વેદ'ને બ્રેઇન ટ્યુમર હોવાથી રાજકોટમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થયું હતું. પરિવારજનોએ ભારે હૈયે વ્હાલસોયા 'વેદ'ને અન્ય જિંદગીમાં હૈયાત રાખવાનો નિર્ણય કર્યો હતો. વેદની બન્ને કિડની અને આંખો દાન કરી અને 'વેદ' એક નહિ પણ ત્રણ-ત્રણ જિંદગીને જીવન આપી ગયો છે.

તસ્વીરમાં દેખાતું આ બાળક કોમળ ફૂલ જેવું ખીલેલું દેખાય છે. આ બાળકનું નામ છે વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડિયા. બોટાદના માધ્યમ વર્ગીય ભાવેશભાઈ ઝીંઝુવાડિયા અને વિભૂતિબેનના પુત્ર વેદની ઉંમર 1 વર્ષ અને 11 મહિના છે. જોકે એક અઠવાડિયા પહેલા 'વેદ'ને ઉલટી થતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જેમાં તબીબોએ નિદાન કરતા વેદને બ્રેઇન ટ્યુમર હોવાનું સામે આવ્યું હતું.

ટૂંકી સારવાર બાદ વેદ બ્રેઇન ડેડ થતા તબીબોએ પરિવારજનોને બાળકના અંગ દાન કરવાની સલાહ આપી હતી. મૃતક વેદના પરિવારજનોએ એકના એક વ્હાલસોયા દીકરાને બીજાની જિંદગીમાં હૈયાત રાખવાના પ્રયાસ માટે દિલ પર પથ્થર રાખીને અનુમતિ આપી હતી. અને વેદ એક નહિ ત્રણ જિંદગીને જીવનદાન આપી ગયો. અમદાવાદના તરૂણને વેદની બંન્ને કિડની મળી અને અન્ય બે બાળકોને આંખો. અંગ દાન સ્વીકારનાર તરુણના પિતાએ પણ પરિવારની હિંમતને સેલ્યુટ કર્યું હતું.

આ બાળકની કિડની તેના પર ટ્રાન્સપ્લાન્ટ થવાની હતી તે ૧૭ વર્ષના દર્દીનું ટ્રાન્સપ્લાન્ટ આજે રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક થયું છે. જેના માટે જાણીતા તબીબ ડોકટર પ્રાંજલ મોદી ખાસ અમદાવાદથી આવ્યા હતા અને આજે સવારે ડોક્ટર પ્રાંજલ મોદી, ડોક્ટર દિવ્યેશ વિરોજા, ડોક્ટર સંકલ્પ વણઝારા સહિત તબીબોની ટીમે સફળતાપૂર્વક કિડની પ્રત્યારોપણ કરવામાં આવી હતી. 

જે દર્દી પર કીડની ટ્રાન્સપ્લાન્ટ થઇ છે તેનું વજન માત્ર ૩૫ કિલો હતો અને ઘણા સમયથી તે ડાયાલિસિસ પર હતા. જોકે અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધુ હોવાથી ઓપરેશન અમદાવાદમાં શક્ય નહોતું. જેથી રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. રાજકોટમાં પ્રથમ વખત સૌથી નાના વયના બાળકની કિડની અને આંખોનું દાન અને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સાથે જ કોરોના વાયરસનો કહેર હોવાથી રાજકોટની પી.ડી.યુ મેડિકલ કોલેજના સહયોગ થી મૃતક બાળક વેદનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અંગદાન કરવામાં આવ્યું હતું.

ભલે વેદ આ દુનિયામાં નથી રહ્યો, પણ તેને ત્રણ જિંદગીને નવું જીવન આપતા તે અમર થઈ ગયો છે.પરિવારજનોએ વ્હાલસોયા વેદના અંગદાન કરીને અન્ય લોકોમાં જીવંત રાખ્યો છે અને સમાજને નવો રાહ પણ ચીંધ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news