)
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલ સમેત શિખર બિલ્ડીંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી છે. કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમ સંબંધમાં પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા દોઢ મહિનાથી ચાલતા તકરારને લઇ આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમયે પત્ની યોગમાંથી પરત આવતા સમેત શિખર બિલ્ડિંગના પટાંગણમાં પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું અને બાદમાં પોતે જાતે લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી છે. બનાવનની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
પત્નીને યોગા કરીને પરત ફરતા પતિએ ગોળી મારી
રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને ચોટીલા આપાગીગા ઓટલા ખાતે સેવક તરીકે કામ કરતા લાલજીભાઈ રમેશભાઈ પઢીયારએ આજે સવારના સમયે તેમના ઘરની સામે આવેલ સમેત શિખર એપાર્ટમેન્ટ બિલ્ડીંગના પટાંગણમાં પોતાની પત્ની તૃષા પઢીયારને ગોળી મારી દીધા બાદ પોતે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, મૃતક લાલજીભાઈના ફાઈના દીકરાના દીકરા વિશાલ ગોહિલ સાથે પત્ની તૃષા પઢીયારને પ્રેમ સબંધ હતો જેની જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની તૃષા ઘર છોડી સમેત શિખર બિલ્ડિંગમાં રહેતી તેની સહેલી પૂજાના ઘરે રહેવા જતી રહી હતી. દોઢ મહિનાથી લાલજીભાઈ મનાવતા હતા અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું આમ છતાં તૃષા ઘરે પરત ન આવતી હતી. આજે સવારે રોષે ભરાયેલ લાલજીભાઈ પત્ની તૃષા યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તેમજ ડીસીપી ક્રાઇમ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ પરથી પોલીસને 4 કાર્ટીસ મળી આવી હતી.
લાઈસન્સવાળું હથિયાર હતું - પોલીસ
સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે મૃતક લાલજીભાઈ પઢીયારના પરિવારજનોની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી હતી. ACP રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, તૃષા પઢિયાર જ્યાં રહેતા તે કંપાઉન્ડમાં જ સમગ્ર ઘટના બની છે. ઘટનામાં કુલ 4 રાઉન્ડ ફાયરિંગ થયા છે. પતિ લાલજી પઢિયાર દ્વારા પત્ની પર ફાયરિંગ કરી પોતે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો છે. તૃષાબેન હાલ સારવાર હેઠળ જેની હાલત ગંભીર છે. પારિવારિક ઝઘડાના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હથિયાર લાઇસન્સ વાળું હોવાથી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. FSLની મદદ લેવામાં આવી છે. પરિવારજનોની ફરિયાદ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે
તૃષાને કૌટુંબિક ભત્રીજા સાથે પ્રેમ થયો હતો
ACP રાધિકા ભારાઈએ માહિતી આપતા જણાવ્યું કે, આશરે 21 વર્ષ પહેલા લાલજીભાઈ રમેશભાઈ પઢીયાર અને તૃષાબેન પઢીયારના લગ્ન થયા હતા. બંને પતિ પત્ની અને 20 વર્ષનો પુત્ર રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર જૈન મંદિરની સામે આવેલા તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. લાલજીભાઈના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ, દોઢ વર્ષ પહેલા તૃષાબેનને કૌટુંબિક ભત્રીજા વિશાલ ગોહિલ સાથે પ્રેમ સંબંધ હોવાની લાલજીભાઈને જાણ થઈ હતી.
પત્નીને બગીચામાં પ્રેમી સાથે રંગેહાથ પણ પકડી લીધી હતી
મૃતકની બહેને વલોપાત કરતા કહ્યું હતું કે, તેમની ભાભીને કૌટુંબિક ભત્રીજા વિશાલ નામના યુવક સાથે અનૈતિક સબંધ હતાં. જે વાતની દોઢ મહિના પહેલા તેમના ભાઈ લાલજીને જાણ થઈ હતી અને પત્નીને બગીચામાં પ્રેમી સાથે રંગેહાથ પણ પકડી લીધી હતી. જે બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. જે બાદ ભાભી તૃષા ઘરેથી રોકડ પાંચ લાખ, દાગીના, મિલકતના દસ્તાવેજ સહિતનો મુદામાલ લઈ તે તેની સહેલી પૂજા, સોનુ અને પ્રેમી વિશાલ સાથે રહેવા ચાલી ગઈ હતી. અવારનવાર તેને સમજાવી ઘરે આવી જવા કહ્યું છતાં તે પરત આવી નહતી અને માથાકૂટ ચાલું રાખી હતી. જેથી આ બનાવ બન્યો હતો.
ભાભી તૃષાનું સારવારમાં મોત નહીં થાય તો હું તેને મારી નાંખીશ
ઉપરાંત બહેને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તેની ભાભી તૃષાનું સારવારમાં મોત નહીં થાય તો હું તેને મારી નાંખીશ તેમજ તેમના ભાઈની હત્યા કરવામાં આવી છે. સરકાર પાસે તેના ભાઈને ન્યાય અપાવવા માંગણી કરી છે. જોકે તૃષા પઢીયાર હાલ સારવાર હેઠળ હોવાથી પોલીસ તૃષાનું નિવેદન લઈ તપાસ આગળ વધારશે