)
પ્રશાંત ઢીવરે/સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. તબીબના આપઘાતને લઈ હોસ્પિટલ તંત્રના ઉચ્ચ તબીબી અધિકારીઓને જાણ થતા તાત્કાલિક ટ્રોમા સેન્ટર દોડી આવ્યા હતા. સવારે સાથી તબીબી કર્મચારી સાથે વિવાદ બાદ વતન મોકલી આપવાના નિર્ણયને પગલે સાંજે તબીબે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.
મૂળ કર્ણાટક બેંગ્લોરના વતની અને નવી સિવિલ કેમ્પસમાં આવેલા બી બ્લોક પીજી બોઈઝ હોસ્ટેલમાં રહેતા ૨૬ વર્ષીય ડો. લોકેશ એ. દેવાંગ હાલમાં સુરતની નવી સિવિલ કેમ્પસમાં આવેલ રેડિયોલોજી વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. સાથે જ સિવિલ હોસ્પિટલમાં આર-૨ તરીકે ફરજ બજાવતા હતો. તબીબ લોકેશ શનિવારે સાંજે પોતાની રૂમમાં સાથી તબીબોને "મારે સામાન પેક કરવો છે તમે બહાર જાય કહી " પંખા સાથે ચાદર બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ સાથી તબીબોને થતા તાત્કાલિક ફાંસો ખાધેલી હાલતમાંથી નીચે ઉતારી સારવાર માટે ટ્રોમા સેન્ટર ખસેડાયો હતો.
જ્યાં તેની મેડિસીન વિભાગના તબીબો દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણ હોસ્પિટલ તંત્રના ઉચ્ચ તબીબી અધિકારીઓને થઈ હતી. જેથી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, RMO, મેડિકલ કોલેજના ડીન, રેડિયોલોજી વિભાગના વડા સહિતના તબીબી અધિકારીઓ ટ્રોમા સેન્ટરમાં પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને લઈ રેસિડેન્ટ તબીબો પણ આવી પહોંચ્યા હતા. બે-ત્રણ કલાકની સારવાર બાદ ફરજ પરના તબીબે લોકેશને શનિવારે મોડી સાંજે મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ બેંગલોરમાં રહેતા પરિવારજનોને થતા શોકની કાલિમા છવાઈ ગઈ હતી. પરિવારજનો સુરત આવવા માટે વતનથી નીકળ્યા હતા.
તબીબના આપઘાત પાછળ અનેક શંકા-કુશંકા સેવાઇ રહી છે. સિવિલના કર્મચારીઓમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. શનિવારે સવારે મૃતક તબીબનો સાથી મહિલા કર્મી સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો, જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું અને લોકેશને બેંગલોર પરત ઘરે મોકલી આપવાનું કહેવાયું હતું. જે બાદ બપોરે હોસ્ટેલના રૂમમાં આવી તણાવમાં આવી આપઘાત કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જોકે, સચોટ તપાસ બાદ કારણ સામે આવશે.
સિવિલના રેડિયોલોજી વિભાગના ડૉ. લોકેશને તણાવને પગલે માનસિક વિભાગમાં તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. રેડિયોલોજી વિભાગમાં આંતરિક સંકલનના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હાલ આંતરિક બાબતને લઈ તબીબે આપઘાત કરી લેતા તેના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.