)
Morbi Kanti Amrutiya : ગુજરાતના રાજકારણમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરથી તાજેતરમાં ચૂંટણી જીતેલા ગોપાલ ઈટાલિયા સતત ચર્ચામાં છે. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંક્યો હતો. બીજીતરફ ગોપાલ ઈટાલિયાએ કાંતિ અમૃતિયાની ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. આજે બપોરે 12 કલાકે ગાંધીનગરમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની વાત થઈ હતી. હવે કાંતિ અમૃતિયા ગોપાલને ચેલેન્જ ફેંકી રાજીનામું આપ્યા વિના ગાંધીનગરથી પરત ફરી રહ્યાં છે. પરંતુ શું કામ કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને રાજીનામું આપી દેવાનો પડકાર ફેંક્યો? શું હતો કાંતિ અમૃતિયાનો અસલી પ્લાન? તમે પણ જાણો ઈનસાઈડ સ્ટોરી.
- ગોપાલની રાજકીય કારકીર્દી પૂરી કરી વિધાનસભા ન પહોંચવા દેવાનો ખેલ
- આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકનારી વિસાવદરની જનતાને સબક શિખવવાનું પ્લાનિંગ
- ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંકવાનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટીને નબળા પાડવાનો પ્લાન
- ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી સરકારની બગડતી છબી અંગે ધ્યાન ડાયવર્ટ કરવાની રણનીતિ
- મોરબીમાં મજબૂત બનતી જતી આમ આદમી પાર્ટીની છબી બગાડવાનો ખેલ
"અત્યારે હું કઈ બોલીશ નહિ.... હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યો છું": કાંતિ અમૃતિયાનું નિવેદન #kantiamrutiya #gopalitalia #aap #bjp #morbi #visavadar #gujaratpolitics pic.twitter.com/XPgTR6JZpZ
— Zee 24 Kalak (@Zee24Kalak) July 14, 2025
રાજીનામું આપવા પહોંચ્યા હતા કાંતિ અમૃતિયા
ગોપાલ ઈટાલિયાને ફેંકાલા પડકાર પ્રમાણે કાંતિ અમૃતિયા ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે પોતાના હજારો સમર્થકો સાથે ગાંધીનગરમાં રાજીનામું આપવા પહોંચ્યા હતા. બીજીતરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, ગોપાલ ઈટાલિયાએ રાજીનામું આપવાનો સવાલ જ નથી. ગોપાલને વિસાવદરની જનતાએ સેવા કરવાની તક આપી છે અને તે વિસાવદરની જનતાના કામ કરશે.
શું હતો કાંતિ અમૃતિયાનો પ્લાન?
તાજેતરમાં ગુજરાતમાં બે બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની જીત થઈ હતી. સતત બીજીવાર વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ ચૂંટણી જીતી હતી, પરંતુ ત્યારબાદ ભાયાણી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ પેટાચૂંટણીમાં જનતાએ આમ આદમી પાર્ટીને ફરી ભવ્ય જીત અપાવી હતી.
ગોપાલની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો પ્લાન?
કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંક્યો અને કહ્યું કે આપણે બંને રાજીનામું આપી દઈએ અને મોરબીથી ફરી ચૂંટણી લડીએ. જો ગોપાલ ઈટાલિયા ચૂંટણી જીતે તો બે કરોડ રૂપિયા આપવાની વાત પણ કાંતિ અમૃતિયાએ કરી હતી. પરંતુ આ સમગ્ર પ્લાન ગોપાલ ઈટાલિયાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો હતો. જોકે ગોપાલ ઈટાલિયાએ હજુ ધારાસભ્ય તરીકે શપથ લીધા નથી. તેવામાં ગોપાલ ઈટાલિયા રાજીનામું કયા પદ પરથી રાજીનામું આપે તે પણ સવાલ ઉઠે છે. ટૂંકમાં કાંતિ અમૃતિયાનો પ્લાન ગોપાલની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો હતો. જો ગોપાલ ઈટાલિયા રાજીનામું આપે તો વિસાવદરમાં પણ ફરી પેટાચૂંટણી યોજાવાની ફરજ પડે. ત્યારે સતત બે વખત આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરી ચૂકેલી જનતા ફરી આપ પર વિશ્વાસ ન કરે.
"કાંતિકાકા ગાંધીનગર જઈને વીડિયો બનાવીને વાઘ માર્યો હોય એમ નાટક કરશે અને જનતાનું ધ્યાન ભટકાવશે...." - પ્રવીણ રામ (AAP નેતા)#morbi #GujaratPolitics #visavadar #gujarat #gopalitalia #kantilalamrutiya #bjp #aap #ZEE24KALAK pic.twitter.com/YjgupxWfFj
— Zee 24 Kalak (@Zee24Kalak) July 14, 2025
ગોપાલ ઈટાલિયા પોતાના ભાષણ અને સરકાર પર પ્રહારો કરવા માટે જાણીતા છે. તેવામાં જો ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદે શપથ લઈ આગામી વિધાનસભા સત્રમાં ગૃહમાં પહોંચે તો સરકાર સામે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. ગોપાલ ઈટાલિયા પોતાના લડાયક મિજાજને કારણે ગુજરાતની જનતા વચ્ચે પોતાની જગ્યા બનાવી રહ્યાં છે. ગોપાલ ઈટાલિયા સરકાર અને તંત્ર સામે પણ સવાલ ઉઠાવતા રહે છે. તેવામાં ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંકી વિધાનસભા ન પહોંચવા દેવાની ચાલ પણ જોવા મળી રહી છે.
આમ આદમી પાર્ટીને પણ ઝટકો આપવાનો પ્લાન?
આમ આદમી પાર્ટીએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો જીતી બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ વિસાવદર પેટાચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓના ચૂંટણી પ્રચાર છતાં ગોપાલ ઈટાલિયાએ જીત મેળવી હતી. તેવામાં આમ આદમી પાર્ટીના સૌથી મજબૂત નેતા અને પદનામિત ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંકવાનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટીને નબળા પાડવાનો પ્લાન છે. એટલે કે જો ગોપાલ કાંતિ અમૃતિયાની વાતોમાં આવી રાજીનામું આપે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.