)
Anirudhsinh Jadeja surrender :રાજકોટ-ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ આખરે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં હાજર થવાનો આદેશ આપવામાં આવતા તેમણે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
આ કેસમાં છેલ્લા બે દિવસથી અનિરૂદ્ધસિંહ જાડેજાની ન્યાયિક લડત ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટે તેમને સરેન્ડર કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો. જોકે, આ આદેશ બાદ વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી. આ વાંધા અરજી પર આજે સવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી અને ગઈકાલના સ્ટેને રદ કરી આજે જ સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો. આ આદેશ બાદ અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. સરેન્ડર બાદ તેમને ગોંડલથી જૂનાગઢ જેલમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.
આ સમગ્ર ઘટનાક્રમ રાજકોટ-ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યા સાથે જોડાયેલો છે, જે એક ચર્ચાસ્પદ અને જૂનો કેસ છે. આખરે, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ આ કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે.
જાણો શું હતો એ સમગ્ર કેસ ?
15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલના સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરાઈ હતી. આરોપ અનુસાર રાજકીય દુશ્મનાવીના લીધે અનિરુદ્ધસિંહ જાડેજાએ આ હત્યા અંજામ આપી હતી. આ ગંભીર કેસમાં તેમને ટાડા એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 1997માં સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.
બીજી તરફ અનિરુદ્ધસિંહે 18 વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. 29 જાન્યુઆરી, 2018ના રોજ સજા માફી માટેની ભલામણ બાદ તેમને તાત્કાલિક જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટ દ્વારા આ સજા માફીનો નિર્ણય હવે રદ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ફરીથી સરેન્ડર કરવાની ફરજ પડી છે.