)
Gandhinagar News: ગુજરાત સરકારે વધુ નવા 17 તાલુકા બનાવવાનો નિર્ણય લીધો છે, ત્યારે આ નિર્ણયે શાંત જળમાં પથરો ફેંક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ સરકાર વિકાસની વાત કરી રહી છે, તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં આ મુદ્દે વિરોધનો વંટોળ શરૂ થયો છે. ઇડર તાલુકાના જાદરને સ્વતંત્ર તાલુકાનો દરજ્જો ન મળતાં સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિકોએ પોતાના રોષની અભિવ્યક્તિ કરવા માટે ભાજપના ધારાસભ્ય રમણ વોરાના ઘરનો ઘેરાવ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોનો આ પ્રચંડ વિરોધ જોઇને ધારાસભ્ય રમણ વોરા ફોન બંધ કરીને જાણે ભૂગર્ભમાં ઉતરી પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લોલીપોપથી કંટાળેલા જાદરવાસીઓનો આક્રોશ
જાદરને તાલુકો બનાવવા માટે સ્થાનિકો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, છેલ્લાં 6 ધારાસભ્યો છેલ્લાં ઘણાં સમયથી માત્ર 'લોલીપોપ' આપીને સંતોષ આપી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ કાર્યવાહી થઈ નથી. જો બનાસકાંઠાને ચાર અને અરવલ્લીને બે નવા તાલુકા મળી શકતા હોય તો ઇડરના જાદરને તાલુકો કેમ નહીં? જાદરવાસીઓ આ હદે રોષે ભરાયા છે કે, આ મુદ્દે સરકાર સામે જંગે ચડવા માટે 70થી વધુ આગેવાનોએ કેસરિયો ખેસ ઉતારી ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
ભાજપને સીધી ચીમકી: ગામડાઓમાં 'નો એન્ટ્રી'
રાજીનામું આપવાની સાથે જ વિરોધીઓએ ભાજપને ખુલ્લી ચીમકી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, હવેથી જાદર પંથકના ગામડાઓમાં ભાજપના એકેય નેતાને પ્રવેશ મળશે નહીં. એટલું જ નહીં, આ ગામડાઓમાં ભાજપનો એકપણ કાર્યક્રમ પણ યોજવા દેવાશે નહીં. આગામી દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત, એપીએમસી, સહકારી માર્કેટયાર્ડ અને સહકારી સંઘની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે વિરોધની આ આગ ભાજપને મોટું નુકસાન પહોંચાડી શકે છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં પણ આંદોલનના ભણકારા
એક તરફ ઉત્તર ગુજરાતમાં વિરોધની જ્વાળા સળગી રહી છે, ત્યારે બીજી તરફ નવરચિત તાલુકાઓની યાદીમાંથી સૌરાષ્ટ્રની ધરાર બાદબાકી કરવામાં આવતાં ત્યાં પણ આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. નવરચિત તાલુકા મુદ્દે અત્યારથી જ વિરોધનો બુંગિયો ફૂંકાયો છે ત્યારે સરકારની સ્થિતિ 'સાપે છછૂંદર ગળ્યો હોય' તેવી બની છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તાલુકા વિભાજનનો આ મુદ્દો ભાજપ માટે લાભદાયી થવાને બદલે રાજકીય દ્રષ્ટિએ મોટું નુકસાન પહોંચાડી શકે છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ આ મુદ્દે સરકાર વિરુદ્ધ મોટા પાયે આંદોલન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ વિરોધ ભાજપ માટે સ્થાનિક ચૂંટણીઓમાં કેવો પડકાર ઊભો કરે છે, તે જોવું રહ્યું. શું સરકાર આ વિરોધને શાંત પાડવા માટે જાદરને તાલુકાનો દરજ્જો આપવા અંગે પુનર્વિચાર કરશે?