)
Ahmedabad Sabarmati River Floods: અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા નદી ફરી એકવાર બંને કાંઠે વહેતી થઈ છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ સંપૂર્ણપણે છલકાઈ ગયો છે. આ કારણે રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ અને વોક-વે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
આ સ્થિતિને જોતા અમદાવાદ શહેર અને આસપાસના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પાણીનો પ્રવાહ રોકાય નહીં તે માટે વાસણા બેરેજના 30 માંથી 27 ગેટ ફ્રી ફ્લો ખોલી નાખવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજમાંથી 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે. ધરોઇના માત્ર ત્રણ દરવાજા 10 ફુટ ખુલ્લા કરાયા છે, જેમાંથી ૩૮૯૭૬ ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યું છે.
પાણીની આવક અને જાવકના આંકડા
પાણીની આવક વધતા વાસણા બેરેજની સપાટી 131 ફૂટ સુધી પહોંચી ગઈ છે અને સુભાષ બ્રિજ પાસે નદીનું લેવલ 43.65 મીટર પર પહોંચ્યું છે. આ પરિસ્થિતિને કારણે સુભાષ બ્રિજ ખાતે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 2 અને ફેઝ 3 ના ચાલુ વિકાસ કાર્યોમાં પણ વિલંબ થવાની શક્યતા છે.
અસરગ્રસ્ત વિસ્તારો અને વિકાસ કાર્યો
પાણીના ઉંચા સ્તરને કારણે નદીના પટની નજીક આવેલા ગામોને ખાસ કરીને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેમાં નીચે મુજબના ગામોનો સમાવેશ થાય છે:
સિટી તાલુકા: 19 ગામો
નવા ફેઝમાં બની રહેલા પ્રોમિનાડની દિવાલ અને પૂરાણ માટે નાખવામાં આવેલી માટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઇન્દિરા બ્રિજથી ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના વિસ્તારો પણ પાણીમાં ડૂબી ગયા છે. સ્થાનિક પ્રશાસને લોકોને નદીના પટથી દૂર રહેવાની અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. હાલમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.