)
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ પક્ષની આંતરિક રાજનીતિ પર ઘણા સવાલો ઊભા કર્યા છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જગ્યાએ અમિત ચાવડાના પ્રમુખ બનતાની સાથે જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ થયેલા પ્રવક્તા અમિત નાયકને ફરી પક્ષમાં પાછા લેવામાં આવ્યા છે. આ ઘટનાથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં "પક્ષ વિરોધી પ્રવૃત્તિ"ની વ્યાખ્યા પક્ષના પ્રમુખ બદલાતાની સાથે જ બદલાઈ જાય છે.
અમિત નાયક પરના આરોપો અને સસ્પેન્શન
અગાઉ, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હતા, ત્યારે કોંગ્રેસની શિસ્ત સમિતિએ અમિત નાયકને ગંભીર આરોપોને કારણે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આ સસ્પેન્શન પાછળ મુખ્ય ત્રણ કારણો હતા. જેમાં પક્ષની આંતરિક બાબતો, જાતિવાચક શબ્દોનો ઉપયોગ અને રૂપિયાનો તોડ.
પક્ષની આંતરિક બાબતો: અમિત નાયકે પક્ષની આંતરિક બાબતો પર સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરી હતી, જે પક્ષના નિયમોનું ઉલ્લંઘન હતું.
જાતિવાચક શબ્દોનો ઉપયોગ: કોંગ્રેસના જ કાર્યકરોએ શિસ્ત સમિતિ સમક્ષ અમિત નાયકની એક ઓડિયો ક્લિપ રજૂ કરી હતી, જેમાં તેમણે અનુસૂચિત સમાજના એક વ્યક્તિ માટે જાતિવાચક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
રૂપિયાનો તોડ: તેમના પર રૂપિયાના તોડમાં પણ સંડોવાયેલા હોવાની ફરિયાદ થઈ હતી. આ તમામ ગંભીર ફરિયાદો અને પુરાવાઓને આધારે શિસ્ત સમિતિએ તેમની સામે કડક કાર્યવાહી કરી હતી.
પ્રમુખ બદલાતા નિર્ણય બદલાયો
જોકે, શક્તિસિંહ ગોહિલની જગ્યાએ અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જ અમિત નાયકનું 6 વર્ષનું સસ્પેન્શન રદ કરી દેવામાં આવ્યું છે. પક્ષના નવા પ્રમુખ દ્વારા તમામ જૂની ફરિયાદોને નેવે મૂકીને નાયકને પક્ષમાં પરત લેવામાં આવ્યા છે.
આ નિર્ણયને કારણે પક્ષના અન્ય કાર્યકરો અને આગેવાનોમાં પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. શું કોંગ્રેસમાં શિસ્ત સમિતિના નિર્ણયો માત્ર પ્રમુખના અંગત સમીકરણો પર આધારિત છે? શું ગંભીર આક્ષેપોનો સામનો કરનાર વ્યક્તિ પણ સરળતાથી પક્ષમાં પાછી આવી શકે છે? આ ઘટનાએ ગુજરાત કોંગ્રેસની કાર્યશૈલી અને આંતરિક શિસ્ત પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધા છે.