)
Gujarat Congress: પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી થતાં હાલ ગુજરાતની રાજનીતિમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. અગાઉ અમિત ચાવડા 2018થી 2021 દરમિયાન કોંગ્રેસના પ્રમુખ પદે હતા, પરંતુ 2021માં થયેલી પંચાયત અને પાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. હવે આ વાતનું ફરી પુનરાવર્તન થઈ રહ્યું છે, એટલે કે નવેમ્બર-ડિસેમ્બરમાં સંભવિત ચૂંટણીઓ આવશે તે પહેલા દિલ્હી હાઈકમાન્ડે અમિત ચાવડાને ફરીથી પ્રમુખ પદે બેસાડ્યા છે. આ સાથે જ રાજકારણમાં પ્રચલિત એવું TINA (There Is No Alternative) એટલે કે અન્ય કોઇ વિકલ્પ નથી તે પરિબળ કોંગ્રેસે પોતાના પક્ષમાં પણ પ્રવર્તે છે તે સાબિત કર્યું છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પદ ના સ્વીકાર્યું
ચૌધરી પહેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને વિધાનસભામાં પક્ષના નેતા બનવાનો કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ વ્યક્તિગત કારણસર પટેલે તે ઠુકરાવ્યો હતો. અગાઉ કોંગ્રેસના પાટીદાર નેતાઓએ બેઠક કરીને કોઇપણ પટેલ નેતા માટે પ્રમુખ પદ માગ્યું હતું. પરંતુ તે માગ સ્વીકારી નથી.
નોંધનીય છે કે ત્રણ ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાતા ચાવડા યુવાન અને ઓબીસી ચહેરો હોવાથી કોંગ્રેસે તેમને પસંદ કર્યા છે. અગાઉ ચાવડાના ફૂઆ માધવસિંહ સોલંકી 1974થી 1975 તથા 1978થી 1980 અને તેમના પુત્ર તેમજ ચાવડાના પિત્રાઈ ભરતસિંહ સોલંકી 2006થી 2008 અને 2015થી 2018 દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ રહી ચુક્યા છે. ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા હતા. તેથી હવે તેમના સ્થાને ખેડબ્રહ્મા ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને નિયુક્ત કરાયા છે.
ધાનાણીને કેમ્પેઇન કમિટી મળશે, વંશ CWCમાં જઇ શકે
જ્ઞાતિ સંતુલન જાળવવા ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના નેતાઓને વર્કિંગ પ્રેસિડેન્ટનો હોદ્દો મળે તેવી શક્યતા છે. પાટીદારો નારાજ ન થાય તે માટે કોંગ્રેસ આગામી સમયમાં સૌરાષ્ટ્રના પાટીદાર નેતા પરેશ ધાનાણીને ગુજરાતમાં કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જ કોળી નેતા પૂંજા વંશને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન મળી શકે.