)
Surat International Airport: અમદાવાદ પ્લેન ક્રેશ થયાની ઘટનાની શાહી હજું સુકાઈ નથી. ત્યારે દેશ-વિદેશમાં પ્લેનને લઈને અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સોમવારે સાંજે એક વિચિત્ર ઘટના બની હતી. સુરત- જયપુર ફ્લાઈટના લોડિંગ બેના ડોર પર એક મધમાખીનું ઝુંડ આવીને બેસી ગયું હતું. જેના કારણે એરપોર્ટના સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી.
એરપોર્ટના સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ
આ ઘટના બાદ ફાયરબ્રિગેડ બોલાવવાની ફરજ પડી હતી, ત્યારબાદ પાણીનો મારો ચલાવી મધમાખી ઉડાવી હતી. આ ઘટનાને કારણે ફ્લાઈટ એક કલાક મોડી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે ફ્લાઈટના અને એરપોર્ટના સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે લોડિંગ બેના ડોર પર પાણીનો મારો ચલાવવા સાથે ધુમાડો કરી મધમાખીના ઝુંડને ઉડાવવામાં સફળતા મેળવી હતી. જોકે, આ બધા વચ્ચે ફ્લાઈટ એક કલાક મોડી પડતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સોમવારે સાંજે ઈન્ડિગો એરલાઈન્સની જયપુર-સુરત ફ્લાઈટ સોમવારે બપોરે 3.45 વાગે આવી પહોંચી હતી. ત્યારબાદ જયપુર જનારા મુસાફરો આ ફ્લાઈટમાં બેઠા હતા. ત્યાં બીજી બાજુ પ્લેનના લોડિંગ બેમાં પ્રવાસીઓનો સામાન મૂકવામાં આવી રહ્યો હતો. ત્યારે લોડિંગ બેના ડોર પર જમા થઈ રહેલા મધમાખીઓના ઝુંડ પર કોઈની નજર પડ્યા બાદ વાત પ્રવાસીઓ સુધી પ્રસરતા ગભરાટ ફેલાયો હતો.
આ વિચિત્ર ઘટનાને લીધે ફ્લાઈટ એક કલાક મોડી
આ ઘટના બાદ તાત્કાલિક ફાયરબિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડને કોલ મળતાં એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને લોડિંગ બેના ડોર પર પાણીનો મારો ચલાવી સાથે ધુમાડો કરી મધમાખીના ઝુંડને ઉડાવવામાં સફળતા મેળવી હતી. આ વિચિત્ર ઘટનાને લીધે સોમવારે સુરત-જયપુરની ફ્લાઈટ એક કલાક મોડી પડી હતી. નિયમિત આ ફ્લાઈટ જયપુરથી સુરત બપોરે 3.45 વાગે પહોંચે છે. ત્યારબાદ સુરતથી જયપુર જવા માટે સાંજે 4.20 વાગે ઉડાન ભરે છે.