)
Surat News ; સુરતની પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં કિશોરની જામીન અરજી દરમિયાન મોટો ખુલાસો થયો છે. 3000 પાનાંના FSL રિપોર્ટમાં ખુલાસો થયો કે, પીડિતાને ગર્ભ પણ હતો. એટલું જ નહિ, સગીર અને પાટીદાર શિક્ષિકા વચ્ચેની જીમેલ ચેટિંગ પણ સામે આવી છે. જેમાં બંને વચ્ચેના શારીરિક સંબંધો અને ગર્ભપાત વિશેની વાતો બહાર આવી છે.
3000 પાનાના FSL રિપોર્ટમાં નવો ખુલાસો
થોડા સમય પહેલા સુરતની 19 વર્ષીય શિક્ષિકાએ એક કિશોરના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ બાદ કિશોર અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી હતી. કિશોરને જુવેનાઈલ હોમમાં મોકલાયો હતો, તો પિતાને જેલમાં ધકેલાયા હતા. બીજી તરફ, કોર્ટે બંનેની જામીન અરજી નકારી કાઢી હતી. તેથી કિશોરે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પોલીસે આપઘાત કરી લેનાર શિક્ષિકાના મોબાઇલ ફોન એફએસએલમાં મોકલ્યા હતા, તેનો ત્રણ હજાર પાનાંનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કિશોર અને પીડિતા વચ્ચે જી-મેઇલ મારફત જે ચેટિંગ થઈ છે, તેમાં પીડિતા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત અંગેની ચેટિંગ પણ હતી.
ચેટિંગમાં શું શું નીકળ્યું
પોલીસે શિક્ષિકાનો મોબાઈલ એફએસએલમાં મોકલ્યો હતો. સિંગણપોર પોલીસે FSLએ આપેલા રિપોર્ટનું એનાલિસિસ કર્યું હતું. આ રિપોર્ટના એનાલિસિસ બાદ ઘણી અન્ય બાબતો પણ બહાર આવી છે. જેમાં સગીર અને શિક્ષિકા વચ્ચે જી-મેલ મારફત બંને વચ્ચે જે ચેટિંગ થઈ છે તેનો રિપોર્ટ રજૂ કરાયો છે. પીડિતા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત અંગેની ચેટિંગ પણ હતી. FSL રિપોર્ટમાં મૃતક દ્વારા આરોપી સગીરને કરવામાં આવેલા મેલનો પણ ઉલ્લેખ છે. મોટા પ્રમાણમાં 2024માં મૃતક દ્વારા આરોપી સગીરને મેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શરીર સંબંધ બાંધ્યાનો અને બે વાર ગર્ભપાત કરાવાની સાથે મૃતક પાટીદાર શિક્ષિકાને નશીલો પદાર્થ પણ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
મેઈલમાં એકબીજા માટે ઘણું બધુ લખ્યું
મૃતકે સગીર આરોપીને 14 નવેમ્બર 2020એ સાંજે છ વાગ્યા આસપાસ એક મેલ કર્યો છે. જેમાં મૃતકે સગીર આરોપીને જણાવ્યું છે કે એક વાત તો ભૂલી જ ગઈ કે જે બે વાર પાપ કર્યું છે ને એ બંનેને નડશે, હું તો જઈશ પણ તમને એ પણ નડશે. બીજા એક મેલમાં જણાવ્યું છે કે, પછી યાદ છે ઓલા દિવસ ફાર્મમાં ગયા ને બહુ મોટો ઝઘડો થઈ ગયો. તમને થોડોક મારા પર ગુસ્સો આવી ગયો અને તમે મારું ગળું દબાવી દીધું હતું. અન્ય એક મેલમાં લખ્યું છે કે ખબર છે તમે પરાણે સુટ્ટો મરાવતા હતા.
આ મુદ્દાના આધારે મૂળ ફરિયાદીના એડવોકેટ કિશોર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવાની કલમોનો ઉમેરો કરવા જણાવ્યું હતું અને પોલીસ આ દિશામાં વધુ તપાસ કરે એવી દલીલ પણ કરાઈ હતી. દલીલ કરતા તેમણે કહ્યું કે, કિશોરને જામીન મળે તો પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. દલીલ હવે આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ થશે.
પાટીદાર યુવતીએ 13 જુલાઈએ કર્યો હતો આપઘાત
સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય નેનુ રણજીતભાઈ વાવડીયા નામની પાટીદાર યુવતીએ 13 જુલાઈના રોજ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વાવડીયા પરિવારની એકની એક દીકરીના અકાળે અવસાનથી પરિવાર શોકમગ્ન બન્યો છે. આ મામલે સિંગણપોર પોલીસે યુવતીને હેરાન કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નેનુના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરી છેલ્લા છ મહિનાથી એક યુવક દ્વારા હેરાન થઈ રહી હતી. તેમણે આ બાબતે યુવકના પિતાને પણ જાણ કરી હતી. છેલ્લા બે દિવસથી નેનુ ખૂબ જ ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.આ ઘટના બાદ સિંગણપોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી.