)
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય નેનુ રણજીતભાઈ વાવડીયા નામની પાટીદાર યુવતીએ 13 જુલાઈના રોજ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વાવડીયા પરિવારની એકની એક દીકરીના અકાળે અવસાનથી પરિવાર શોકમગ્ન બન્યો છે. આ મામલે સિંગણપોર પોલીસે યુવતીને હેરાન કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નેનુ વાવડીયા કતારગામ વિસ્તારમાં નાની વેડ ખાતે વિધિ પેલેસમાં પરિવાર સાથે રહેતી હતી. તેના પરિવારમાં પિતા રણજીતભાઈ, માતા અને એક ભાઈ છે. રણજીતભાઈ હીરાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે નેનુ પ્રાઈવેટ ટ્યુશન ક્લાસમાં નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી.
નેનુના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની દીકરી છેલ્લા છ મહિનાથી એક યુવક દ્વારા હેરાન થઈ રહી હતી. તેમણે આ બાબતે યુવકના પિતાને પણ જાણ કરી હતી. છેલ્લા બે દિવસથી નેનુ ખૂબ જ ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.આ ઘટના બાદ સિંગણપોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. હાલ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આ ઘટનાના એક દિવસ અગાઉ, એક પાટીદાર સામાજિક અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને લખેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પત્રમાં યુવતીને બ્લેકમેલ કરવામાં આવી રહી હોવાથી આ મામલે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જે આ કેસ સાથે જોડાયેલી હોવાનું મનાય છે. પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવશે તેવી આશા છે.