)
તેજસ દવે/મહેસાણા: વિસનગરનું જૂનું તાલુકા પોલીસ સ્ટેશન મકાન હવે ખરાબ હાલતમાં છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મકાનને ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગમાં પોલીસ કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે. આ મકાનની હાલત એટલી ખરાબ છે કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં પોલીસકર્મીઓ પણ ચિંતિત છે કે જોખમી બિલ્ડીંગમાંથી ક્યાં જવું?
સમગ્ર મામલે વિસનગર dysp એ નિવેદન કર્યું હતું કે, નવું પોલીસ સ્ટેશન બને ત્યાં સુધી જગ્યા પણ બદલી દેવાશે. હાલનું પોલીસ સ્ટેશન શહેરમાં અન્ય કોઈ જગ્યાએ ખસેડી દેવાશે. એક સપ્તાહમાં જગ્યા શોધીને તાલુકા પોલીસ સ્ટેશન અન્ય જગ્યા પર ખસેડાશે. મંત્રી લેવલથી પણ નવું પોલીસ સ્ટેશન ઝડપી બનાવવા સૂચના અપાઈ છે.
ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણના નિવેદન મુજબ, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે નવા પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવી દીધી છે. ટૂંક સમયમાં જ જૂનું પોલીસ સ્ટેશન અન્ય સ્થળે ખસેડવામાં આવશે અને નવા પોલીસ સ્ટેશનનું કામ પણ ઝડપથી શરૂ થશે. પોલીસ સ્ટેશનને ક્યાં ખસેડવામાં આવશે તે આગામી એક સપ્તાહમાં નક્કી કરવામાં આવશે.
સવાલ એ થાય છે કે, મૂળ વિસનગરના અને હાલના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં જ આ પોલીસ સ્ટેશન આવેલું છે. અને 2013 થી આ બિલ્ડિંગમાં વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન કાર્યરત છે. પણ હજુ સુધી નવું પોલીસ સ્ટેશન બનાવવાનો કોઈને વિચાર સુદ્ધાં નથી આવ્યો. અને હવે જ્યારે અહીં rnb એ મકાન ભયજનક હોવાનું બોર્ડ લગાવ્યું ત્યારે તંત્ર માં ફફડાટ ફેલાયો જે હવે તો તાત્કાલિક આ જગ્યા બદલવી જ પડશે.