)
Gujarat Cabinet Expansion: ગુજરાતના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના નવનિયુક્ત મંત્રીમંડળની શપથવિધિનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેણે રાજ્યના રાજકીય ચિત્રમાં અનેક નોંધપાત્ર ફેરફારો લાવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવી રહ્યા છે, ત્યારે આ સમારોહનું સૌથી મોટું આકર્ષણ યુવા નેતા હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી (DyCM) બનાવવાની જાહેરાત બની રહી છે.
બીજી તરફ, આ શપથવિધિની એક અન્ય નોંધનીય બાબત એ છે કે કેટલાક વરિષ્ઠ મંત્રીઓ શપથગ્રહણ સ્ટેજની બાજુના સ્ટેજમાં બેઠા જોવા મળ્યા હતા. ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, અને કુંવરજી બાવળીયા શપથ લેવાના બદલે મહેમાનોની હરોળમાં બેઠા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ મંત્રીપદે યથાવત હોવાથી તેમને ફરીથી શપથ લેવડાવવામાં આવ્યા નથી. જોકે, હર્ષ સંઘવી કે જેઓ અગાઉ રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા, તેમનું નાયબ મુખ્યમંત્રી તરીકે પ્રમોશન થતાં તેમણે પ્રથમ ક્રમે શપથ લીધા હતા.
સંઘવીએ સૌથી પ્રથમ શપથ લીધા હતા જે માત્ર શપથવિધિના ક્રમમાં જ નહીં, પરંતુ રાજ્યના રાજકારણમાં પણ તેમના વધેલા કદનો સ્પષ્ટ સંકેત આપે છે. મંત્રીમંડળના સૌથી યુવા ચહેરા તરીકે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમનો મહત્ત્વપૂર્ણ કાર્યભાર સોંપવો એ ભાજપ હાઈકમાન્ડની યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાની સ્પષ્ટ નીતિ દર્શાવે છે. આ નિર્ણયથી સંગઠન અને સરકારમાં યુવાનોને વધુ જવાબદારીઓ સોંપીને આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે નવી ઊર્જાનો સંચાર કરવાનો પક્ષનો આશય સ્પષ્ટ થાય છે.
આ નવા મંત્રીમંડળની રચના દ્વારા ભાજપે જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણોને સાધીને સત્તા વિરોધી લહેરને ઘટાડવાનો અને પક્ષના શાસનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. યુવા અને અનુભવી નેતાઓનો સમન્વય કરીને ગુજરાત સરકારની કામગીરીમાં નવી ગતિ લાવવાનો આ પ્રયાસ આવનારા દિવસોમાં રાજ્યના રાજકારણ પર કેવી અસર કરે છે તે જોવું રસપ્રદ રહેશે. ગુજરાતમાં સત્તાના સંગઠનમાં થયેલો આ મોટો ફેરફાર આગામી સમયમાં ભાજપની રણનીતિનું પ્રતિબિંબ પાડે છે.