)
Gandhinagar News : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા છે. ગઈકાલે બોરીસણાથી આધારકાર્ડ કઢાવવાનું કહી ઘરેથી ગાડી લઈ નીકળ્યા હતા, જેના બાદથી તેમના મોતની ખબર આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લામાં બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી પોતાની બંને દીકરીઓ સાથે ગઈકાલથી ગુમ હતા. 7 નવેમ્બરના રોજ સવારે તેઓ બંને દીકરીઓને લઈ આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. પંરતું મોડી સાંજ સુધી ઘરે પરત ફર્યા ન હતા. તેમનો ફોન પણ બંધ આવતો હતો. તેથી પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ત્રણેયના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જેના બાદ આજે શનિવારે સવારે બંને દિકરીઓની લાશ કલોલ મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી. તપાસમાં સામે આવ્યુ કે, ધીરજભાઈએ બંને દીકરીઓ સાથે કેનાલમાં પડતુ મૂકીને આપઘાત કર્યો. હાલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ધીરજ રબારી કલોલના બોરીસણા ગામે પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં ધીરજભાઈ, તેમની પત્ની, બે દીકરીઓ અને માતાપિતા છે. મોડી રાત સુધી તેઓ પરત ન ફરતા પોલીસે તેમના ગાડીનું લોકેશન અને મોબાઈલના લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ધીરજભાઈની ગાડી શેરીસા નર્મદા કેનાલ પાસે મળી આવી હતી.
આ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતું લાશ કેનાલમાંથી મળી ન હતી. પરંતું આજે કલોલ તાલુકા પોલીસ મથકના પિયજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે.
આ ઘટનાની જાણ થતા જ રબારી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ધીરજની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ધીરજને વડસર ઉપરાંત અન્ય બે જગ્યાએ પેટ્રોલ પંપ હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતું સુખી સંપન્ન પરિવારના હોવા છતાં ધીરજે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.