)
Recession In Diamond Industry પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના રત્ન કલાકારોની સ્થિતિ દિવસેને દિવસે બગડી ગઈ છે. ત્યારે રત્ન કલાકારોની વ્હારે સરકાર ન આવતા હીરાની ચમક વધારનારા કારીગરો રસ્તા પર ઉતરી ગયા છે. હીરા ઉદ્યોગના ઈતિહાસમાં પહેલીવાર રત્નકલાકારોને હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે શું છે રત્નકલાકારોની સરકાર પાસે માગ, જોઈએ આ અહેવાલમાં.
દેશ-દુનિયામાં જાણીતા સુરતના હીરાઓને ચમક આપનારા કારીગરો પાસે હવે બધુ જ છોડીને ગામડે પરત જતાં રહેવાના દિવસો આવી ગયા છે. કેમ કે છેલ્લા 2 વર્ષથી હીરાની મંદીનો માર સહન કરતા રત્નકલાકારોની સહન શક્તિ હવે ખુટી પડી છે. અને એટલા માટે જ સુરતના હીરા ઉદ્યોગના ઈતિહાસમાં પહેલીવાર રત્નકલાકારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
સરકાર હવે રત્નકલારોની વ્હારે આવી તેવી માગ સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રત્નકલાકારોએ હડતાળ પાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. બે દિવસથી હડતાળ પર રહેલા રત્ન કલાકારોએ કતારગામ દરવાજાથી વરાછા હીરાબાગ સુધી વિશાળ રેલી યોજી હતી અને તેમની માંગણીએ પુરી થાય તેવી સરકાર પાસે ગુહાર લગાવી હતી.
સુરતના રત્નકલાકારોની શું માગ છે તેની વાત કરીએ તો...
સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી આર્થિક મંદીના કારણે હીરા ઉદ્યોગ ડામાડોળ છે. રત્ન કલાકારોને પૂરતા પ્રમાણમાં કામ ન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરાઈ છે. ત્યારે રેલીમાં જોડાયેલા રત્નકલાકારોએ પ્લે કાર્ડ અને બેનરો સાથે દેખાવ કરીને પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. સાથે જ જો માગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ધરણા પ્રદર્શનની સાથે સાથે ભુખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ રત્ન કલાકારોએ ઉચ્ચારી છે.
હાલ હીરા ઉદ્યોગના રત્નકલાકારોની સ્થિતિ કેવી છે તેને વર્ણવતી એક ગુજરાતી ફિલ્મ આવી હતી. જેમાં હીરા ઉદ્યોગના રત્નકલાકારોની વેદના હુબહુ વર્ણવામાં આવી છે.