)
Rajkot News: રાજકોટમાં શ્રાવણ માસમાં ઉપવાસ કરતા લોકોના વ્રત તોડાવી નાખે તેવી ભેળસેળીયા પેટીસ વેચાણનું કૌભાંડ ફૂડ શાખાની ચકાસણીમાં ઝડપાયું છે. ફરાળી પેટીસના નામે મકાઈના લોટમાં બનાવેલી વાનગી વેચવામાં આવતી હોવાની વાત સામે આવી હતી. મનપાની ફૂડ શાખાએ 90 કિલો આવી સામગ્રીનો નાશ કરી હાઈજેનિક કન્ડીશન જાળવવા નોટિસ ફટકારાઈ હતી.
ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજો અંગે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જલારામ ચોક, જય ખોડિયાર હૉલ ની બાજુમાં, ગાયત્રીનગર મેઇન રોડ ખાતે આવેલ ફરાળી પેટીસનું ઉત્પાદન કરતી 'જલારામ ફરસાણ' પેઢીની તપાસ કરવામાં આવી હતી, જ્યાં પેટીસના ઉત્પાદનમાં મકાઈનો લોટ ઉપયોગમાં લેવાતો હોવાનું માલુમ પડયું હતું. સ્થળ ઉપર તૈયાર પડેલી 85 કિલો પેટીસ અને 5 કિલો મકાઈનો લોટ મળી કુલ 90 કિલો સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને લાયસન્સ બાબતે તેમજ સ્થળ પર હાઈ જિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી છે.
જાણો રાજકોટમાં ફૂડ વિભાગની ટીમે ક્યાં ક્યાં પાડ્યા દરોડા?
આ ઉપરાંત બાલાજી ફરસાણ માર્ટ રણછોડનગર શેરી નં.4ખાતેથી રાજગરા ફરાળી ચેવડો, ભેરૂનાથ નમકીન સેન્ટર પેડક રોડ ખાતેથી સાબુદાણાની ખીચડી, શ્રી રામ કરિયાણા ભંડાર ગોવિંદ બાગ ખાતેથી સ્પે. ફરાળી ચેવડો તેમજ પંચનાથ મંદિર નજીક લિમડા ચોક ખાતે આવેલ રસિકભાઈ ચેવડાવાળાને ત્યાંથી ફરાળી લોટ અને કુવાડવા રોડ ઉપર સદગુરૂ આશ્રમ પાસે આવેલ મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળાને ત્યાંથી સ્પે. ફરાળી ચેવડાના નમૂના લેવાયા હતા.