)
Vadodara News : વડોદરાના પાલિકાના ઈજનેરે બદલી થાય તે માટે મોટું ષડયંત્ર રચ્યું હતું. આ માટે તેણે નવાયાર્ડ વિસ્તારમાં વાલ બંધ કરી 30 હજાર લોકોને 3 દિવસ સુધી પાણી ના આપ્યું. પાલિકા એન્જિનિયરે પોતાની બદલી કરાવવા માટે કરેલા ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
પાલિકાના ઇજનેરે બદલી થાય તે માટે ષડયંત્ર રચ્યું
વડોદરા મહાનગરપાલિકાના એન્જિનિયર યોગેશ વસાવાએ બદલી થતા પાણીનો વાલ બંધ કરાવી તરકટ રચ્યુ હતું. નવાયાર્ડમા વાલ બંધ કરી 30 હજાર લોકોને 3 દિવસ સુધી પાણી ના આપ્યું. ફરીથી વોર્ડ 1 માં બદલી થાય તે માટે કોન્ટ્રાક્ટના માણસો સાથે મળી પાણીનો વાલ બંધ કરી દીધો હતો. વૉર્ડ 1 માં પાણીનો કકળાટ ઉભો થાય તો તેને ફરી રોડ પ્રોજેક્ટમાંથી વોર્ડ 1 માં બદલી કરી દેવામાં આવે તેવો પ્લાન ઈજનેરે ઘડ્યો હતો.
મજૂર અને ડ્રાઈવરની મદદ લઈ પ્લાન ઘડ્યો
આ માટે ઈજનેરે કેટલાક લોકો સાથે મળીને આખો પ્લાન રચ્યો હતો. પાણી પુરવઠાના મજૂર અને જેસીબી ડ્રાઈવરની મદદ લઈ વાલ બંધ કરી દીધો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પાલિકાના અધિકારીઓએ મજૂર સંજય માળીની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. બંને સામે પોલીસ ફરિયાદ અને ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે.
આવા અધિકારીને તડીપાર કરવા જોઈએ - કોર્પોરેટર
સમગ્ર મામલે વોર્ડ 1 ના કોર્પોરેટર જહાં ભરવાડનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પોતાની બદલી રોકાવા આ કૃત્ય કરીને ઈજનેરે 30 હજાર નાગરિકોને બાનમાં લીધા હતા. ત્રણ દિવસ સુધી નાગરિકોને પાણી ના મળ્યું. સીસીટીવીના કારણે આખો મામલો બહાર આવ્યો હતો. ડેપ્યુટી એન્જિનિયર યોગેશ વસાવાને કડક સજા થાય તેવી અમારી માંગ છે. આવા અધિકારી સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ. અધિકારીને વડોદરામાંથી તડીપાર કરવો જોઈએ.
પાણી પુરવઠા વિભાગ એન્જિનયરનો પાણી વાલ્વ બંધ કરાવી ષડયંત્ર રચવાનો મામલે પાણી પુરવઠાના વડા ધાર્મિક દવેએ કહ્યું કે, પાણી વાલ્વ બંધ હોવાનું ધ્યાને આવતા સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. સીસીટીવી તપાસ કરતા વાલ્વ ઓપરેટર અને જેસીબીનો ડ્રાઈવર નજરે પડ્યા હતા. વાલ્વ ઓપરેટર સંજય માળીની પૂછપરછ કરાતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. એન્જિનિયર યોગેશ વસાવાએ વાલ્વ ઓપરેટર અને જેસીબી ડ્રાઈવર કહી વાલ્વ બંધ કરાવ્યો હોવાનું તેણે જણાવ્યું. યોગેશ વસાવાએ બદલી થઈ ગઈ હોવા છતાં કર્મચારીઓને સૂચના આપી વાલ્વ બંધ કરાવ્યો હતો. ત્રણેય કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ અને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.