)
વડોદરાના વોર્ડ નં. 17 ખાતે નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશ યાત્રા દરમિયાન મોડી રાત્રે અસામાજિક તત્વોએ ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણકારી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમા લઈ મોટો બનાવ બનતા અટકાવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી તેમનું સરઘસ કાઢ્યું હતું.
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
આ બનાવમાં ધરપકડ થયેલાઓમાં સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી, શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમંદ ઈર્શાદ કુરેશી અને એક સગીર વયનો આરોપી શામેલ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે આ ત્રણેને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને હાથમાં દોરડા બાંધી ઘટના સ્થળે લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ આયોજિત કાવતરા અંગે તપાસ ચાલુ
આ અંગે જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, પોલીસ વધુ તપાસ કરી રહી છે અન્ય લોકોના નામ ખુલશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ આયોજિત કાવતરા અંગે તપાસ ચાલુ છે. તો આરોપીઓ સામે હજુ પણ વધુ કલમનો ઉમેરો કરવામાં આવશે. ગણેશોત્સવ દરમ્યાન શાંતિ અને સુરક્ષા જાળવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.