)
Gujarat Politics : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ સૌએ જોઈ લીધા. કડી અને વિસાવદરની ચૂંટણી આખરે પૂરી થઈ, ત્યારે ફરીથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હવે કોનુ પત્તું કપાય છે અને કોણ મંત્રી બને છે તેના પર સૌની નજર મંડરાયેલી છે. જોકે, પેટાચૂંટણીના પરિણામો બાદ કયા મંત્રીઓનો ચાન્સ જતો રહ્યો તે તો નક્કી જ છે.
વિસાવદરની ચૂંટણીમાં ભાજપની ભુંડી હાર થઈ છે. ગોપાલ ઈટાલિયા વનવે જીતી ગયા છે. વિસાવદરમાં 18 વર્ષ બાદ પણ ભાજપનો કોઈ જાદુ ન ચાલી શક્યો. ભાજપે પક્ષપલટો કરાવીને પણ જોઈ લીધું, પરંતું ભાજપ વિસાવદર હાંસિલ ન જ કરી શક્યું. વિસાવદરની હારનો સૌથી મોટો ફટકો કોઈને પડ્યો હોય તો તે જયેશ રાદડિયા છે. આ બેઠકને જીતાડવાની જવાબદારી રાદડિયાએ લીધી હતી, હવે રાદડિયા મંત્રીપદની રેસમાં આવે તેવી શક્યતાઓ ઓછી જોવાઈ રહી છે.
ત્યારે હવે વિસાવદનરી ચૂંટણી ઘણા નેતાઓના અરમાન લઈ ડૂબશે તે નક્કી છે. વિસાવદરની ચૂંટણીની ગાજ અનેક નેતાઓ પર ગરજી શકે છે. રાદડિયાની સાથે રાઘવજી પટેલ પણ નિશાને છે, કારણ કે, સૌરાષ્ટ્રની આ બેઠક પર રાઘવજી પટેલનું પ્રભુત્વ હતું. ત્યારે હવે મંત્રીમંડળમાં રાઘવજીની વિદાય થશે કે નહિ તે સમય અને રાજકારણ બતાવશે.
આવામાં સૌથી વધુ ચર્ચામાં જવાહર ચાવડા છે. કારણ કે, ભાજપની હારમાં બળવાખોર નેતા જવાહર ચાવડાની ભૂમિકા મુખ્ય હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપ તેમની સાથે શિસ્તભંગના શું પગલા લે તે સમય આવ્યે ખબર પડશે.
ભાજપમાં જોડાયા પછી ન તો ટિકિટ મળી કે ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો. એ પછી જવાહર ચાવડાનો હરિરસ પણ ખાટો થઈ રહ્યો હોય એમ જણાય છે. તેમણે અગાઉ કિરીટ પટેલના ભ્રષ્ટાચાર સામે પત્રિકાયુદ્ધ છેડી દીધું હતું જેને ભાજપ હાઈકમાન્ડે નજરઅંદાજ કર્યું. આથી જ વિસાવદરના ચૂંટણીપ્રચારમાં ગોપાલ ઈટાલિયાને જીતાડવા માટે નહિ પરંતુ કિરીટ પટેલ હારે એ માટે ચાવડાના સમર્થકો, ટેકેદારોને રસ હોય એ સમજી શકાય છે. એટલે જ વિજય સરઘસમાં ગોપાલ ઈટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારીને એક કાંકરે બે પક્ષી માર્યા. હારેલા કિરીટ પટેલને વધુ એક ફટકો માર્યો અને સમાંતરે જવાહર ચાવડાને પણ કશું કહ્યા વગર આમઆદમી પાર્ટીમાં જોડાવાની કંકોત્રી પાઠવી દીધી. હવે જવાહરભાઈ પર સૌની નજર છે.