Damanganga જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરી ડુંગરાળ વિસ્તારમાં પહોંચાડાશે

વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક 797 કરોડ રૂપિયાની લિફ્ટ ઇરીગેશન ઉદવહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

Damanganga જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરી ડુંગરાળ વિસ્તારમાં પહોંચાડાશે

ગાંધીનગર: ગુજરાત (Gujarat) ના દક્ષિણ પ્રદેશ (South Gujarat) માં વલસાડ (Valsad) જિલ્લામાં મહારાષ્ટ્ર (Maharashtra) ની સરહદે આવેલા અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ધરમપૂર અને કપરાડાના વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક 797 કરોડ રૂપિયાની લિફ્ટ ઇરીગેશન ઉદવહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનબંધુ વિસ્તારોમાં ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિજાતિ લોકો વધુ ખેતી પાક લઇ આર્થિક સમુદ્ધિ તરફ વળે તેમજ પીવાના પાણીની અછત પણ દૂર થાય તેવી સંવેદના દર્શાવી છે.

મુખ્યમંત્રી (CM) એ તદઅનુસાર, દમણગંગા (Damanganga) જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરીને જમણાકાંઠા મેઇન કેનાલમાં નાખી કેનાલ ડિસચાર્જ વધારીને ધરમપૂર-કપરાડાના ગામોને પાણી આપવાની સૂચિત કાર્ય યોજના માટે ઇન પ્રિન્સિપલ પરમિશન આપી છે. આ લિફ્ટ ઇરીગેશન-ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત કુલ 163 કિ.મી. પાઇપલાઇન નેટવર્કથી દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકાના 24 ગામોની આશરે 19 હજાર એકર જમીનને તથા ધરમપૂરના 13 ગામોની અંદાજે 13450 એકર જમીનને  સિંચાઇ સુવિધા મળતી થશે.

વલસાડ (Valsad) જિલ્લાના આ બે કપરાડા અને ધરમપૂર તાલુકા દમણગંગા (Damanganga) જળાશયની ઉત્તર દિશાએ વસેલા છે. રાજ્યમાં અહીં વધુ વરસાદ પડતો હોવા છતાં ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આ વિસ્તારમાં કોઇ જળસંગ્રહ સંશાધનો નથી. એટલું જ નહીં, ભૌગોલિક કારણસર હજુ પણ પિયત સુવિધાથી આ વિસ્તારો વંચિત છે અને ઉનાળામાં પીવાના પાણીની પણ અછત આ વિસ્તારમાં વર્તાય છે. આ બેય તાલુકાઓ ડુંગરાળ હોવાથી નહેરનું પાણી ત્યાં પહોચાડવું શક્ય નથી તેમજ દમણગંગા જળાશયની નહેર પણ અહિના નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ આવી વિપરીત સ્થિતિમાંથી ધરમપૂર કપરાડાના વનબંધુઓને બહાર લાવી તેમને પીવાના અને સિંચાઇના પાણીની સુવિધા આપવાની સંપૂર્ણ સંવેદના સાથે દમણગંગા જળાશયમાંથી લિફ્ટ ઇરીગેશન દ્વારા પાણી આપવાની આ સૂચિત કાર્ય યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ લિફ્ટ ઇરીગેશન યોજનાની સંભવિત પથરેખામાં વલસાડ જિલ્લાની ત્રણ મોટી નદીઓ કોલક, પાર અને તાન નદી ક્રોસ કરવાની થશે. આ નદીઓ પર અંદાજે નવ મોટા ચેકડેમ અને તેની પ્રશાખાઓ પર આશરે સાત નાના ચેકડેમ મળી કુલ 16 ચેકડેમમાં પાઇપલાઇનથી પાણી ભરવામાં આવશે.

આના પરિણામે આ નદીઓ પૂર્ન:જીવિત થવાથી 1730 એકર જમીનને આ ચેકડેમથી સિંચાઇનો લાભ પણ મળતો થશે. સમગ્રયતા આ ઉદવહન સિંચાઇ યોજના થકી કપરાડા-ધરમપૂરના મળીને 37થી વધુ ગામોની 34180 એકર જમીનને સિંચાઇ સવલતો અને હજારો વનબંધુ ગ્રામિણ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળતું થશે.આ ઉપરાંત દમણગંગા (Damanganga) જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરીને જમણાકાંઠા મેઇન કેનાલમાં નાખી નહેરનો ડિસચાર્જ વધારી ભવિષ્યમાં વધતી જતી પાણીની માંગને પહોંચી વળવાનું પણ બહહેતુક આયોજન છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ રાજ્યના 14 વનબંધુ જિલ્લાઓના 54 તાલુકાઓમાં ઊંચાઇવાળા લેવલે કે ડુંગરાળ પ્રદેશમાં વસેલા ગામો-વિસ્તારોના વનબાંધવો માટે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનું નિવારણ લાવવાનો આગવો વ્યૂહ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી (CM) એ આ વિસ્તારોમાં પાણી માટેની સમસ્યા વારંવાર ઉપસ્થિત થતી હોવાથી તેના નિરાકરણ માટે સંવેદનશીલ અભિગમ અપનાવી વર્ષ 2016થી 2020ના ચાર વર્ષ દરમ્યાન નાની સિંચાઇ યોજનાઓ, હાઇ લેવલ કેનાલ, નાના માટે ચેકડેમો, લિફ્ટ ઇરીગેશન સ્કીમ એટલેકે ઉદવહન સિંચાઇ યોજનાના કામો મોટાપાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ પ્રેરિત કર્યા છે.

તેમણે રાજ્યના 14 વનબંધુ જિલ્લાઓમાં 54 તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા પીવાના પાણીની ઉપલબ્ધિ માટે ચાર વર્ષમાં રૂપિયા 6642 કરોડના માતબર ખર્ચે નાની માટે 1644 યોજનાઓ મારફત કુલ 5,43,067 એકર જમીનમાં સિંચાઇની સવલત પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા આદિજાતિ કલ્યાણની નેમ રાખી છે.

તદઅનુસાર, મુખ્યત્વે 13 મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓ, 344 લિફ્ટ ઇરીગેશન સ્કીમ, 238 નાની મોટી સિંચાઇ યોજનાઓ, 432 નાના મોટા ચેકડેમો તેમજ 617 અનુશ્રવણ તળાવો દ્વારા વનબંધુ વિસ્તારોની 5,43,067 એકર જમીનને સિંચાઇનો લાભ પહોચાડવાની વિવિધ યોજનાઓ પ્રગતિમાં કે પૂર્ણતાના તબક્કે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news