)
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળો વક્યો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક જ સપ્તાહમાં મેલેરિયાના 1, ડેન્ગ્યુના 1, કમળાનાં 3 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયા છે. જ્યારે તાવ,ઝાડા-ઉલટી સહિત વિવિધ રોગના 1967 દર્દી નોંધાયા છે.
છેલ્લા 15 દિવસથી ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી કરીને મચ્છર જન્ય રોગ વધ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળે છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ 550 સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 82 રહેણાંક મકાનો 195 કોમર્શિયલ બાંધકામ માંથી મચ્છરના લાડવા મળ્યા હતા એમને નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે 32 લોકોને દંડ ફટકરવામાં આવ્યો છે.
શહેરમાં વધતો રોગચાળો આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર બન્યો છે. આ માટે તંત્ર જરૂરી પગલાં લે તે જરૂરી છે. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,967 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 703 કેસ, ઝાડા-ઉલટીનાં 342 કેસ, સામાન્ય તાવનાં 916 કેસ નોંધાયા છે. સતત 22મા સપ્તાહે પણ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનો 1 કેસ અને કમળાનાં પણ વધુ 4 કેસ નોંધાયા હતા.
મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ અને મેલેરિયાનો 1-1 કેસ નોંધાયો છે. જ્યારે ચિકનગુનિયાનો કોઈ કેસ નોંધાયો નથી. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે જો નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 9,500 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.