)
How To Get rid of Gas and Stomach Pain: ઘણા લોકોને જમ્યા પછી તુરંત જ પેટમાં દુખાવો થવા લાગે છે. ભોજન કર્યા પછી તુરંત જ પેટમાં ગેસ અને એસિડિટી વધવા લાગે છે જેના કારણે દુખાવો અને બેચેની અનુભવાય છે. ઘણા લોકોને તો બપોરે જમ્યા પછી આખો દિવસ પેટ ભરેલું જ લાગે અને છાતીમાં બળતરા પણ થતી હોય છે. આવી સમસ્યા કેટલાક ગંભીર મામલામાં પણ થઈ શકે છે. પરંતુ જો પાચનની તકલીફના કારણે ગેસ અને એસિડિટી વારંવાર થતી હોય તો તમે દવાને બદલે આ નેચરલ ઇન્ગ્રેડિએન્ટસની મદદથી તેનો ઈલાજ કરી શકો છો. આજે તમને જણાવીએ એવા ઘરેલુ નુસખા વિશે જે એસીડીટી અને ગેસની તકલીફને તુરંત દૂર કરે છે.
જમ્યા પછી થતી ગેસ એસિડિટીને મટાડવાના 2 ઉપાય
આ રીતે ખાવ વરિયાળી
જમ્યા પછી જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો તેને દૂર કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વરીયાળી ખાવી. વરીયાળી ખાવાથી પેટમાં બનતો ગેસ, એસીડીટી અને પેટના દુખાવા જેવી સમસ્યામાં આરામ મળે છે. વરીયાળીમાં પાચક ગુણ હોય છે જે પાચન શક્તિ વધારે છે અને પેટ હળવું રહે છે. એસીડીટીથી રાહત મેળવવા માટે સવારે અથવા તો રાત્રે બે ચમચી વરિયાળીને પાણીમાં પલાળી દેવી. આ પાણીને જમ્યા પછી પીવાનું રાખો. પાણી પીધા પછી પલાળેલી વળીયાળી પણ ચાવીને ખાઈ જવી.
ગોળનું પાણી મટાડશે એસિડિટી
જમ્યા પછી ગોળનું પાણી પીવાથી પણ પેટની સમસ્યા ઓછી થાય છે. એસિડિટી અને ગેસ વારંવાર થતા હોય તે લોકોએ ગોળનું પાણી પીવું જોઈએ. ગોળમાં પણ પાચક તત્વ હોય છે જે પાચન શક્તિ વધારે છે. ગોળનું પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગોળનું પાણી બનાવવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં ગોળનો પાઉડર અથવા ગોળ ઉમેરો. ગોળ પાણીમાં ઓગળી જાય પછી આ પાણી પી લેવું. ગોળનું પાણી પણ જમ્યા પછી પીવું.
આ બંને વસ્તુ સિવાય તુલસીની ચા પણ પાચનશક્તિને વધારે છે. દિવસમાં એક કે બે વખત તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને પીવાનું રાખો. તુલસીનું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા ઓછી થાય છે અને પાચનશક્તિ વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)