)
Health Tips: બદલતા વાતાવરણમાં પેટ સંબંધિત સમસ્યા ઝડપથી ફેલાય છે. ખરાબ આહાર, પાણીના કારણે પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી જેવી સમસ્યા પરેશાન કરે છે. જો ફુડ પોઈઝનિંગ થઈ જાય તો શરીરને વધારે તકલીફ પડે છે. પેટની સમસ્યાઓમાં શરીરમાં નબળાઈ આવી જાય છે. ખાસ કરીને જો ઝાડા અને ઉલટી લાંબા સમય સુધી રહે તો શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે. આ સ્થિતિમાં ઝાડા ઉલટી રોકવા માટે તુરંત કેટલાક ઉપાય કરવા જોઈએ. દવાઓની મદદથી ઝાડા ઉલટી રોકવા ન હોય તો તમે કેટલાક અસરદાર દેશી ઈલાજ કરીને પેટની સમસ્યા દુર કરી શકો છો.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ઝાડા, ઉલટી, પેટનો દુખાવો જેવી તકલીફોને ઠીક કરવા માટે દવા ન હોય તો ઘરમાં રહેલી વસ્તુઓથી ખાસ ડિટોક્સ ડ્રિંક બનાવી પી લેવું. આ પાણી પીવાથી પેટની તકલીફોમાં રાહત થઈ શકે છે. આ પાણી ફૂડ પોઈઝનિંગના લક્ષણોને પણ હળવા કરે છે.
ઝાડા, ઉલટી તુરંત રોકવાના ઉપાય
1. ઝાડા, ઉલટી તુરંત રોકવા માટે દાડમની છાલની ચા બનાવીને પી શકો છો. દાડમની છાલમાં એવા ગુણ હોય છે જે પેટમાં ઈંફેકશન ઘટાડે છે અને લૂઝ મોશનમાં આરામ આપે છે. તેના માટે 1 ગ્લાસ પાણીમાં દાડમની સુકાયેલી છાલ બરાબર ઉકાળો અને પછી તેને ગાળી આખા દિવસ દરમિયાન પીતા રહો.
2. અજમા અને જીરું પેટની તકલીફો માટે વરદાન સમાન મસાલા છે. તેનાથી પાચન સુધરે છે. અજમા ગેસ રોકવામાં મદદ કરે છે. તેના માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમા અને 1 ચમચી જીરું મિક્સ કરી ઉકાળો. આ પાણી હુંફાળુ હોય ત્યારે પીવાનું હોય છે.
3. પેટની તકલીફોમાં ફુદીનો પણ અસરદાર સાબિત થાય છે. ફુદીનો પેટને ઠંડક આપે છે. તેના માટે ફુદીનાના પાન, લીલા ધાણા મિક્સ કરી જ્યુસ બનાવો અને તેમાં પાણી ઉમેરી દો. આ પાણી દિવસ દરમિયાન થોડી થોડી માત્રામાં પીતા રહેવું. આ પાણી પેટમાં રહેલા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરશે.
આ 3 ઉપાયો સિવાય ખાવાપીવામાં પણ કેટલાક ફેરફાર કરવા. જેમકે ઝાડા-ઉલટી જેવી સમસ્યા હોય ત્યારે જમવામાં રોટલી અને ભાત ન ખાવા અથવા ઓછા ખાવા. પેટની સમસ્યા દરમિયાન હળવો આહાર જ લેવો અને પ્રવાહી વધારે પ્રમાણમાં લેવું. જો ઘરેલુ ઉપાયથી લક્ષણોમાં રાહત ન જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરી દવા લેવી. લાંબા સમય સુધી રાહ જોવી નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)