)
Health Tips: એવા અનેક લોકો હોય છે જેમની ફરિયાદ હોય છે કે અવારનવાર છાતીમાં બળતરા થાય છે. આ સમસ્યા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. મુખ્યત્વે આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે ખાવાપીવાનો સમય બદલી જાય, વધારે મસાલેદાર ભોજન કરવામાં આવે, પાણી ઓછું પીવાતું હોય, વધારે પડતી તળેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે. આ સમસ્યા એકદમ સામાન્ય સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે.
છાતીમાં બળતરા થતી હોય તો દવાને બદલે 3 દેશી ઉપાય કરીને તમે બળતરાને શાંત કરી શકો છો. આજે તમને જણાવીએ કે છાતીમાં બળતરા થતી હોય તો કઈ વસ્તુઓ લેવાથી તુરંત આરામ મળી શકે છે. આ 3 ઉપાયો એટલા અસરદાર છે કે તેનાથી બળતરા તુરંત શાંત થઈ જશે.
છાતીની બળતરા શાંત કરવાના ઉપાયો
1 સૌથી પહેલા તો છાતીમાં બળતરા થાય તો વરિયાળીનું પાણી પીવું જોઈએ. વરિયાળી બળતરા શાંત કરે છે. તેના માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી ઉમેરી બરાબર ઉકાળો. 5 મિનિટ પછી ગેસ બંધ કરી પાણીને ગાળી અને ઠંડું કરી પી લેવું. આ એકદમ દેશી ઈલાજ છે જેની કોઈ આડઅસર નથી. નાના-મોટા કોઈપણ આ ઉપાય અપનાવી શકે છે. જે લોકોને કાયમી તકલીફ હોય તેઓ રાત્રે વરિયાળી પાણીમાં પલાળી રાખે અને સવારે ખાલી પેટ આ પાણી પી શકે છે.
2. પેટ હોય કે છાતી કોઈપણ જગ્યાએ બળતરા થતી હોય તો તેને શાંત કરવા માટે ફુદીનાના પાન ચાવીને ખાઈ શકાય છે. ફુદીનામાં કુલિંગ એજન્ટ હોય છે જે બળતરા શાંત કરે છે અને પેટને ઠંડક કરે છે. તમે ઘરે ફુદીનાનું પાણી પણ બનાવી શકો છો. આ પાણી પીવાથી બળતરા મટી જાય છે.
3. છાતીમાં થતી બળતરા શાંત કરવા માટે કેળા પણ ઉપયોગી છે. એક કેળું ખાઈ લેવાથી પણ બળતરા શાંત થઈ શકે છે. કેળામાં પોટેશિયમ હોય છે જે પેટ અને છાતીની બળતરાને શાંત કરે છે. આ સિવાય મોળું દહીં પણ ખાઈ શકો છો. દહીં ખાવાથી પણ શરીરની બળતરા શાંત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)