)
Cold and Cough: કોઈપણ વ્યક્તિ બીમાર પડે તો તેને અલગ અલગ પ્રકારના ફળ ખવડાવવામાં આવે છે. ફળ હેલ્ધી હોય છે અને તે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. જોકે દરેક બીમારીમાં દરેક ફળ ખાઈ શકાતા નથી. જેમકે શરદી અને ઉધરસ થયા હોય તો કેટલાક ફળ ખાવાનું ટાળવું જોઈએ. શરદી અને ઉધરસમાં કેટલાક પ્રકારના ફળ ખાવામાં આવે તો તકલીફ વધી જાય છે.
શરદી અને ઉધરસ કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. શરદી અને ઉધરસ હોય તે સમયે કેટલાક ફળ ખાવાથી કફ વધી જાય છે અને ગળામાં બળતરા પણ થાય છે. કેટલાક ફળમાં ખાંડનું પ્રમાણ નેચરલી વધારે હોય છે જે શરદી ઉધરસમાં લક્ષણોને વધારી દે છે. આજે તમને જણાવીએ શરદી અને ઉધરસ થયા હોય તો કયા ફળ ખાવાનું ટાળવું જોઈએ.
દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ફળ ખાવા જોઈએ. ફળ ખાવાથી શરીરને જરૂરી વિટામીન, એન્ટિઓક્સિડન્ટ અને હાઇડ્રેશન મળે છે. પરંતુ શરદી ઉધરસ દરમિયાન આ 5 ફળ ખાવાથી રિકવરીમાં સમય લાગી શકે છે. તેથી આ 5 ફળ શરદી ઉધરસ દરમિયાન ખાવાનું ટાળવું જોઈએ.
ખાટા ફળ
જો કોઈને શરદી અથવા ઉધરસ થયા હોય તો સંતરા, દ્રાક્ષ, લીંબુ જેવા ખાટા ફળ ખાવાનું ટાળવું જોઈએ. આ ફળ ના કારણે ગળામાં બળતરા થઈ શકે છે અને ઉધરસ પણ વધી શકે છે. વિટામીન સી રોપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે પરંતુ જો ઉધરસ અને શરદી થયા હોય ત્યારે વિટામિન સી થી ભરપૂર ખાટા ફળ ખાવામાં આવે તો હાનિકારક સાબિત થઈ શકે છે.
અનાનસ
અનાનસમાં બ્રોમેલૈન નામનું એન્જાઈમ હોય છે. જે પ્રોટીન તોડીને કફનું ઉત્પાદન વધારી શકે છે. તેનાથી કંજેસન અને ઉધરસની સમસ્યા વધી શકે છે. શરદી અને ઉધરસ દરમ્યાન અનાનસનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો ખાવું હોય તો ખૂબ ઓછી માત્રામાં ખાવું.
કેળા
કેળા હેલ્ધી ફળ છે પરંતુ શરદી અને ઉધરસમાં કેળા ખાવાથી સમસ્યા વધી શકે છે. કેળા શરીરમાં કફ વધારી દે છે અને કનજેશનને ખરાબ કરી નાખે છે. તેથી શરદી ઉધરસ જેવી સ્થિતિ હોય ત્યારે કેળા ખાવાનું પણ ટાળવું.
દ્રાક્ષ
શરદી ઉધરસ હોય અને દ્રાક્ષ ખાવામાં આવે તો તબિયત વધારે બગડી જાય છે. દ્રાક્ષમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે શરદી ઉધરસના લક્ષણ વકરી શકે છે. દ્રાક્ષનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ અને શક્ય હોય તો શરદી ઉધરસ દરમિયાન દ્રાક્ષ ખાવી જ નહીં.
કેરી
કેરી પૌષ્ટિક ફળ છે પરંતુ તેમાં સુગરનું પ્રમાણ નેચરલી વધારે હોય છે જે શરદી અને ઉધરસની સમસ્યા વધારી શકે છે. શરદી ઉધરસમાં કેરી ખાવામાં આવે તો કફ વધી જાય છે. તેથી શરદી અને ઉધરસમાં કેરી ખાવી નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)