)
Healthy Breakfast For Diabetes: ડાયાબિટીસ એવી બીમારી છે જેના દર્દીની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. નાની ઉંમરના બાળકો પણ ડાયાબિટીસનો શિકાર થઈ રહ્યા છે. ડાયાબિટીસ એવી બીમારી છે જેનો કોઈ જ ઈલાજ નથી. ડાયાબિટીસ થઈ જાય પછી યોગ્ય આહારની અને દવાની મદદથી તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તે મહત્વપૂર્ણ હોય છે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે આહાર પર ખાસ ધ્યાન આપવું પડે છે. તેમાં પણ સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓએ સવારનો નાસ્તો ક્યારેય સ્કીપ કરવો નહીં, સાથે જ એ વાત પર પણ ફોકસ કરવું કે નાસ્તામાં કઈ વસ્તુઓ ખાવી અને કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું.
જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તેણે એવો નાસ્તો કરવો જોઈએ જે બ્લડ સુગર સ્થિર રાખવામાં મદદ કરે, શરીરને એનર્જી આપે અને અચાનક બ્લડ સુગર સ્પાઇક થતું પણ અટકાવે. ઘણી વસ્તુઓ એવી હોય છે જેના સવારના સમયે ખાવાથી બ્લડ સુગર ઝડપથી વધી જાય છે. તેથી સવારે નાસ્તામાં હેલ્ધી વસ્તુ પસંદ કરવી. ડાયાબિટીસના દર્દીઓ માટે નાસ્તાના કેટલાક બેસ્ટ ઓપ્શન વિશે આજે તમને જણાવીએ. આ વસ્તુઓમાં સુગરનું પ્રમાણ ઓછું હોય છે તેથી તે ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
વેજીટેબલ ઉપમા
ઘણા લોકો નાસ્તામાં ઉપમા ખાતા હોય છે. ઉપમા લોકપ્રિય દક્ષિણ ભારતીય વ્યંજન છે. ઉપમા બનાવતી વખતે તેમાં ગાજર વટાણા બિન્સ જેવા ફાઇબર યુક્ત શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. આ નાસ્તો ડાયાબિટીસના રોગીઓ માટે એકદમ પરફેક્ટ છે વેજીટેબલ ઉપમા હેલ્ધી અને લો ગ્લાયસેમિક ઓપ્શન છે. ડાયાબિટીસના દર્દીઓ રવા સિવાય ઘઉંના ફાડા કે ઓટ્સનો ઉપમા પણ બનાવીને ખાઈ શકે છે.
મગની દાળના ચીલા
મગની ફોતરાવાળી દાળના ચીલા પણ હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન છે. પ્રોટીનથી ભરપૂર મગની દાળને પીસી અને તેમાં ખૂબ ઓછા મસાલા ઉમેરીને ચીલા બનાવવામાં આવે છે. આ ચીલા પેટ ભરવામાં મદદ કરે છે અને શરીરને એનર્જી આપે છે. ડાયાબિટીસમાં આ નાસ્તો હેલ્ધી ઓપ્શન ગણાય છે.
બેસન ચીલા
બેસન ચીલા એટલે કે ચણાના લોટમાંથી બનતો આ નાસ્તો પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે. ચણાના લોટમાં ડુંગળી, ટમેટા, પાલક, કોથમીર જેવી હેલ્ધી વસ્તુઓ ઉમેરીને ચીલા બનાવવામાં આવે છે. ડાયાબિટીસના રોગીઓ માટે આ હેલ્ધી ઓપ્શન છે.
ઓટ્સ ઈડલી
ચોખાના લોટની ઈડલી તો તમે ઘણી વખત ખાધી હશે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ સવારે નાસ્તામાં ઓટ્સની ઈડલી ખાઈ શકે છે. ઓટ્સની ઈડલી સ્વાસ્થ્યવર્ધક નાસ્તો સાબિત થાય છે. ઓટ્સમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે તેથી તે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને શરીરને જરૂરી પોષક તત્વ પણ પ્રદાન કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)