)
Mouth Cancer Symptoms: મોઢાનું કેન્સર મોટાભાગે હોંઠ, જીભ, મોંના પાછળના ભાગેથી શરુ થાય છે. પરંતુ કેટલાક લોકોને ગાલ, પેઢા, તાળવા, ટોન્સિલ અને લાર ગ્રંથીમાંથી પણ કેન્સરની શરુઆત થઈ શકે છે. ભારતમાં ઓરલ કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. જેનું મુખ્ય કારણ છે, તંબાંકૂ, ગુટખા જેવી વસ્તુઓ ખાવાની કુટેવ. મોઢાના કેન્સરની શરુઆતમાં જ જો સારવાર મળી જાય તો દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે.
મોઢાના કેન્સરમાં સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરાપીથી દર્દીની સારવાર થાય છે. ડોક્ટરોના જણાવ્યાનુસાર મોઢાના કેન્સરના 80 ટકા કેસમાં રેડિયોથેરાપીની જરૂર પડે છે. જો આ કેન્સર વધી જાય પછી દર્દીને ખબર પડે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.
મોઢાના કેન્સરની શરુઆત થઈ હોય એટલે કે કેન્સર ફર્સ્ટ સ્ટેજમાં હોય ત્યારે એકદમ સામાન્ય લાગતા આ 8 સંકેતો જોવા મળે છે. કોઈપણ વ્યક્તિને જો આ 8 સંકેત જોવા મળે તો તેણે સાવધાન થઈ જવું અને તુરંત ડોક્ટર પાસે જઈ ચેકઅપ કરાવવું જોઈએ. કારણ કે આ 8 સામાન્ય લાગતી સમસ્યા કેન્સરની શરુઆતનું લક્ષણ હોય શકે છે.
મોઢાના કેન્સરની શરુઆતના 8 લક્ષણો
- દાંત હલવા લાગે અથવા ઢીલા પડી જાય.
- ગદરન આસપાસ ગાંઠ જેવો અનુભવ થાય.
- હોંઠ પર સોજો આવે અથવા ચાંદા પડે પછી મટે નહીં.
- ખોરાક કે પાણી ગળેથી ઉતારવામાં તકલીફ થવી.
- બોલવામાં તકલીફ થવી કે ફેરફાર થઈ જવો.
- મોઢામાંથી લોહી નીકળવું કે મોં સુન્ન થઈ જવું.
- જીભ કે પેઢા પર સફેદ કે લાલ ડાઘા થઈ જવા.
- કારણ વિના વજનમાં નોંધપાત્ર ઘટાડો થવો.
મોઢાનું કેન્સર થવાના મુખ્ય કારણો
ડોક્ટરના જણાવ્યાનુસાર મોઢાના કેન્સરનું મુખ્ય કારણ તંબાંકૂ, ગુટખા જેવી વસ્તુઓનું સેવન હોય છે. આ સિવાય HPV, EBV વાયરસ, જેનેટિક કારણો, ઓરલ હાઈજીનનો અભાવ, પેઢાની બીમારી, સોપારી ખાવાની આદતના કારણે પણ કેન્સર થઈ શકે છે.
મોઢાના કેન્સરની સારવારની વિગતો
મોઢાના કેન્સરની સારવાર કેન્સર કઈ જગ્યા છે, કયા પ્રકારનું છે અને કયા સ્ટેજનું છે તેના પર આધાર રાખે છે. સૌથી પહેલા કેન્સરના લક્ષણો જણાય તો ડોક્ટર દર્દીનું સીટી સ્કેન અને એમઆરઆઈ સ્કેન જેવા ટેસ્ટ કરાવે છે. જેના પરથી ખબર પડે છે કે કેન્સર કેટલું ફેલાયેલું છે. કેન્સરના સ્ટેજ પરથી સારવાર અંગે નિર્ણય લેવામાં આવે છે.
સામાન્ય રીતે મોઢાના કેન્સરની સારવારમાં સૌથી પહેલા સર્જરી થાય છે. જેની મદદથી કેન્સરવાળો ભાગ અને કેન્સરની ગાંઠને દુર કરવામાં આવે છે. શરુઆતી સ્ટેજમાં કેન્સરની ખબર પડી જાય તો સર્જરી પ્રભાવી સાબિત થાય છે.
મોઢાના કેન્સરની ખબર શરુઆતમાં પડી જાય અને કેન્સર વધારે ફેલાયું ન હોય એટલે કે કેન્સર નાનું હોય તો રેડિયોથેરાપીથી પણ ઈલાજ થઈ શકે છે. સર્જરી અને રેડિયોથેરાપી સિવાય કેન્સર મટાડવા કીમોથેરાપી અને દવાઓની મદદ પણ લેવી પડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)