)
Navel Displacement: નાભી ખસી જવાની સમસ્યાને સામાન્ય ભાષામાં પેચોટી ખસી જવી પણ કહે છે. આ તકલીફને લોકો ગંભીરતાથી લેતા નથી. પરંતુ આયુર્વેદ અનુસાર નાભિ શરીરના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ હોય છે. નાભિ શરીરમાં સૌંદર્યનું પ્રતિક જ નહીં પરંતુ પાચન અને ઊર્જા તંત્રનું કેન્દ્ર બિંદુ હોય છે. જે વાત્ત પિત્ત અને કફ એમ ત્રણેય દોષને સંતુલિત રાખવાનું કામ કરે છે. જો કોઈ કારણ વશ નાભિ પોતાની પ્રાકૃતિક સ્થિતિ એટલે કે કેન્દ્રમાંથી ખસી જાય તો શરીરમાં ઘણા બધા અસંતુલન ઉભા થઈ જાય છે. સામાન્ય ભાષામાં તેને અંબોઈ ખસી જવી કે પેચોટી ખસી જવી પણ કહે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે સ્નાયુ પર અચાનક દબાણ આવી જાય.
પેચોટી ખસી જવાના કારણ
નાભી ખસી જવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. જેમકે ભારે સામાન ઉપાડયા પછી આવું મોટાભાગે થતું હોય છે. આ સિવાય વધારે વ્યાયામ, અચાનક કૂદકો મારવો, ભોજન કર્યા પછી તુરંત જ શ્રમ પડે તેવું કામ કરવું, ગેસ અથવા કબજીયાતની સમસ્યા રહેતી હોય, પેટના સ્નાયુ નબળા હોય, અચાનક લપસી જવાય કે પડી જવાય ત્યારે પણ પેચોટી ખસી જાય છે.
પેચોટી ખસી ગયાના લક્ષણો
જ્યારે નાભિ પોતાની જગ્યાએથી હટી જાય છે તો પેટના વચ્ચેના ભાગમાં દુખાવો અને ખેંચાણ અનુભવાય છે. અચાનક ભૂખ વધારે લાગે છે અથવા તો બિલકુલ લાગતી નથી. ઘણી વખત દર્દીને ઝાડા અથવા કબજિયાત થઈ જાય છે. કેટલાક લોકોને પેચોટી ખસી જવા પર ગેસ અથવા આફરો ચડે તેવી સમસ્યા થઈ જાય છે. આ સિવાય કમરના નીચેના ભાગમાં ભારેપણું થાક અને ચક્કર આવવા જેવા લક્ષણો પણ પેચોટી ખસી જાય તો જોવા મળે છે.
અંબોઈ બેસાડવાના ઉપાય
આ સમસ્યામાં ઘરેલુ આયુર્વેદિક ઉપાય અત્યંત પ્રભાવશાળી સાબિત થાય છે. જેમાં સૌથી લોકપ્રિય અને સરળ ઉપાય છે સરસવના તેલનો. જ્યારે પણ એવું લાગે કે પેચોટી ખસી ગઈ છે તો નાભિની ચારે તરફ સરસવનું તેલ લગાડો અને બે થી ત્રણ ટીપા નાભીમાં ઉમેરી દો. નાભીમાં સરસવનું તેલ નાખવાથી સ્નાયુ શિથિલ થઈ જાય છે અને નાભી ધીરે ધીરે પોતાની જગ્યાએ આવી જાય છે.
આ સિવાય ગરમ પાણીની થેલી પેટ પર રાખવાથી પણ નાભિ પોતાની જગ્યાએ પાછી આવી જાય છે. નાભી ખસી જવાથી પાચનતંત્ર પ્રભાવી થાય છે તેવામાં હૂંફાળા પાણીમાં લીંબુ અને અજમા ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો ગેસની સમસ્યાથી છુટકારો મળી શકે છે. પેચોટી ખસી ગઈ હોય ત્યારે ગરમ દૂધમાં હિંગ ઉમેરીને પીવાથી પણ ફાયદો થાય છે.
આ સિવાય યોગાસન પણ લાભકારી સાબિત થઈ શકે છે. યોગાસનમાં પવન મુકતાસન અને મકરાસન વિશેષ લાભકારી છે. તેનાથી પેટના સ્નાયુ સંતુલિત થાય છે અને નાભિ પોતાની સ્થિતિમાં આવી જાય છે.
પેચોટી ખસી ગઈ હોય તો શું ન કરવું ?
નાભી ખસી ગઈ હોય તો ભારી સામાન ઉપાડવાનું ટાળવું જોઈએ. કબજિયાતની સમસ્યાથી બચવા માટે ફાઇબર યુક્ત આહાર લેવો અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું. ભોજન કર્યા પછી તુરંત જ વાંકુ વળીને ભારે કામ ન કરવું અને દોડવું પણ નહીં. આ સિવાય નિયમિત યોગ કરવાથી પણ પેટના સ્નાયુ મજબૂત થાય છે અને નાભી ખસી જવાની સંભાવના ઘટે છે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)