)
Ayurvedic Kadha For Sore Throat: વરસાદી વાતાવરણમાં વારંવાર શરદી ઉધરસ થઈ જાય તે સામાન્ય છે. વાતાવરણમાં થતા ફેરફારની અસરના કારણે શરદી, ઉધરસ અને ગળામાં તકલીફ થઈ જતી હોય છે. શરદી ઉધરસ તો સામાન્ય સમસ્યા છે પરંતુ જ્યારે ગળામાં તકલીફ થઈ જાય તો ખાવા પીવામાં પણ સમસ્યા થાય છે. ગળામાં ખરાશની તકલીફથી છુટકારો મેળવવા માટે આ આયુર્વેદિક વસ્તુઓનો કાઢો બનાવીને પી શકાય છે. આ કાઢો પીવાથી શરદી, ઉધરસ, ગળામાં તકલીફ, બંધ નાક જેવી સમસ્યાઓ ઠીક થઈ શકે છે.
શરદી-ઉધરસ માટે આયુર્વેદિક કાઢો
આદુ અને તુલસી
આદુ અને તુલસીનો કાળો બનાવીને પીવાથી ગળાની ખરાશ બંધ નાકમાં ફાયદો થાય છે. આદુમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ગળાનો સોજો ઓછો કરે છે અને તુલસી ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. તેને બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ટુકડો આદુ અને ચારથી પાંચ તુલસીના પાન ઉકાળો. પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરી તેમાં મધ ઉમેરીને પાણી પી જવું. દિવસમાં બે વખત આવો ઉકાળો બનાવીને પીવાથી ગળામાં આરામ થાય છે અને નાક ખુલી જાય છે.
તજ અને લવિંગનો કાઢો
તજ અને લવિંગનો કાઢો પણ શરદી ઉધરસમાં રાહત કરે છે. તજમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે જે ગળાના ઇન્ફેક્શનને મટાડે છે. તેને બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજનો પાવડર અને બે થી ત્રણ લવિંગ ઉમેરી પાંચ મિનિટ ઉકાળો. પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરી તેને ગાળી લો અને તેમાં મધ મિક્સ કરી પી જવું.
હળદર અને મરીનો ઉકાળો
હળદર એન્ટી સેપ્ટિક ગુણથી ભરપૂર હોય છે જે ગળાના દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. કાળા મરી બંધ નાકને ખોલવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હળદર અને ચપટી કાળા મરીનો પાવડર ઉમેરી બરાબર ઉકાળો. પાણી ઉકાળી જાય પછી ગેસ બંધ કરી દો અને હૂંફાળું હોય ત્યારે તેનું સેવન કરો. હળદરનું પાણી રાત્રે સુતા પહેલા પીવાથી વધારે ફાયદો થાય છે.
મુલેઠીનો કાઢો
મુલેઠી ગળાની તકલીફને શાંત કરે છે. એક ગ્લાસ પાણીમાં મુલેઠીના મૂળ ઉમેરી બરાબર ઉકાળો. તેમાં થોડું મધ મિક્સ કરો અને પાણી હૂંફાળું ગરમ હોય ત્યારે ધીરે ધીરે પી લેવું. તેનાથી શરદીમાં રાહત થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)