)
Health Tips: ચોમાસાની શરૂઆત થાય કે શરીરની પાચનશક્તિ નબળી પડી જાય છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે જેના કારણે ખોરાક પણ ઝડપથી બગડી જાય છે અને આ સમયે પેટ સંબંધિત સમસ્યા પણ વધારે જોવા મળે છે. તેથી જ ચોમાસામાં ખાવા પીવામાં ખાસ સાવધાની રાખવાની જરૂર પડે છે. જેમાં રોજ ખવાતી રોટલી પણ સમજી વિચારીને ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો ચોમાસામાં જલ્દી પચી જાય તેવો અને હળવો આહાર લેવો જોઈએ.
ચોમાસા દરમિયાન બાજરો, મકાઈ, રાગી જેવા અનાજના લોટથી બનેલી રોટલી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તે ઝડપથી પચતા નથી અને પેટમાં ગેસ તેમજ ભારેપણાનું કારણ બની શકે છે. આ અનાજના લોટને બદલે ચોમાસામાં ઘઉં, જુવાર અને ચણાના લોટનો ઉપયોગ વધારે કરવો જોઈએ. જુવારમાં ફાઇબર અને મિનરલ્સ હોય છે અને ચણાના લોટમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ લોટ ચોમાસામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં પણ મદદ કરે છે.
કેટલાક લોકો ઘઉંના લોટમાં ઓટ્સનો પાવડર, સોયાબીનનો પાવડર, અળસીનો પાવડર કે સત્તુ ઉમેરીને પણ રોટલી બનાવે છે. આ રીતે બનાવેલી રોટલી સ્વાદિષ્ટ પણ લાગે છે અને શરીર માટે હેલ્ધી સાબિત થાય છે. ઘઉંના લોટમાં આ વસ્તુઓનો પાવડર ઉમેરવાથી રોટલી પોષણથી ભરપૂર બની જાય છે.
આવી રોટલી ચોમાસામાં ખાવાથી પાચનતંત્ર પણ સારું રહે છે. જોકે ડાયટીશ્યન એવી સલાહ પણ આપતા હોય છે કે ચોમાસા દરમિયાન વાસી આહાર લેવાનું ટાળવું. ભોજન હંમેશા તાજું જ ખાવું જોઈએ. સાથે જ ભોજનમાં દેશી ઘી ઉમેરીને ખાવું જોઈએ તેનાથી પાચન સારું રહે છે. રોટલીમાં પણ ઘી લગાડીને ખાવી જોઈએ જેનાથી રોટલી નો સ્વાદ પણ વધે છે અને સરળતાથી પચે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)