8th Pay Commission: સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુ 2026થી 'શૂન્ય' થશે કે 60%થી આગળ ગણતરી થશે? જવાબ જાણો
8th Pay Commission: આઠમાં પગાર પંચનું નામ સાંભળતા જ કેન્દ્રીય કર્મચારીઓના હ્રદયના ધબકારા વધી જતા હોય છે. કારણ કે આખરે તે તેમના ભવિષ્ય, પગાર, અને ખિસ્સા સાથે જોડાયેલું સૌથી મોટું અપડેટ હોય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે આઠમાં પગાર પંચમાં મોંઘવારી ભથ્થાનું શું થશે? તો ખાસ વાંચો આ અહેવાલ. ભથ્થું ઝીરો થશે કે પછી આગળ ગણતરી થશે....
Trending Photos
)
દરેક સરકારી કર્મચારીના મનમાં એ પ્રશ્ન ઘૂમતો રહે છે કે શું 1 જાન્યુઆરી 2026થી તમારું DA અચાનક શૂન્ય થઈ જશે કે પછી તેની ગણતરી 60% ના આંકડાને પણ પાર કરતી જશે? આ સવાલ જેટલો સીધો દેખાય છે એટલો સીધો છે નહીં કારણ કે તેનો જવાબ એટલો જ પેચીદો છે. પરંતુ અમે તમારા માટે સૂત્રો દ્વારા એવી માહિતી લાવ્યા છે જે સ્પષ્ટતા કરવામાં મદદ કરશે. આગામી કેટલાક વર્ષોમાં તમારા પગાર પર શું અસર પડશે તે સમજીએ.
તારીખ તો પાક્કી પરંતુ સવાલ હજુ ઘણા મોટા!
2 જાન્યુઆરી 2026...આ એ તારીખ છે કે જ્યારે દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ લાગૂ થવાનું પ્રસ્તાવિત છે. પરંતુ આ તારીખ સાથે જ કર્મચારીઓના મનમાં એક મોટો સવાલ બેઠો છે કે મોંઘવારી ભથ્થા (DA)નું શું થશે? શું તે 60 ટકાથી આગળ વધશે કે પછી ગત પગાર પંચ સમયે થયું હતું તેમ અચાનક 'શૂન્ય' પર આવી જશે? આ સવાલ ઊભો થાય તે સ્વાભાવિક પણ છે. કારણ કે મોંઘવારી ભથ્થું, કર્મચારીઓના પગારનો એક મહત્વનો હિસ્સો છે જે મોંઘવારી સામે લડવામાં મદદ કરે છે.
હાલ શું છે સ્થિતિ?
આજની તારીખમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 58% છે જે 1 જાન્યુઆરી 2025થી લાગૂ છે. પરંતુ હાલનો ટ્રેન્ડ જોઈએ તો જાન્યુઆરી 2026 સુધી તેમાં ઓછામાં ઓછું 2 ટકા ઉછાળો આવે તેવી શક્યતા છે. તેનો અર્થ એ થયો કે 1 જાન્યુઆરી 2026 સુધી મોંઘવારી ભથ્થું વધીને 60 ટકા સુધી પહોંચી શકે છે. તો પછી સવાલ એ છે કે જ્યારે આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું તે 60% મોંઘવારી ભથ્થું 'શૂન્ય' થઈ જશે?
શું કહે છે નિયમ?
જૂના પગાર પંચના ઈતિહાસને જોઈએ તો એવી પેટર્ન રહી છે કે જ્યારે પણ નવું પગાર પંચ લાગૂ થાય છે તો મોંઘવારી ભથ્થાને શૂન્ય કરી નાખવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે ડીએની ગત તમામ ગણતરીને બેઝિક પગારમાં મર્જ કરી દેવાય છે અને નવેસરથી ડીએની ગણતરી શરૂ થાય છે. કર્મચારીઓ પણ એ માનીને ચાલી રહ્યા છે કે 1 જાન્યુઆરી 2026થી જ્યારે આઠમું પગાર પંચ લાગૂ થશે ત્યારે તેમનું 60 ટકા જેટલું મોંઘવારી ભથ્થું ઝીરો કરી દેવાશે પરંતુ આ વખતે કહાનીમાં એક ટ્વિસ્ટ છે.
ભલામણોનો પેંચ!
સૂત્રોનું માનીએ તો ભલે આઠમું પગાર પંચ લાગૂ થવાનો પ્રસ્તાવ 1 જાન્યુઆરી 2026 હોય પરંતુ તેનો અર્થ એ નથી કે ડીએ તે દિવસે શૂન્ય થઈ જશે. વાત જાણે એમ છે કે આઠમું પગાર પંચ કેવી રીતે કામ કરશે, તેની ભલામણો શું હશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, આ બધું નક્કી થવામાં સમય જશે. સૂત્રોના જણાવ્યાં મુજબ એવી આશા છે કે આઠમાં પગાર પંચની ભલામણો મે કે જૂન 2027 સુધીમાં સામે આવી શકશે અને તેને લાગૂ થવામાં હજું વધુ સમય લાગી શકે. જ્યાં સુધી આ ભલામણો ન આવે અને સરકાર તેને મંજૂર ન કરે ત્યાં સુધી મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે.
2027 સુધીમાં 70% ડીએનું અનુમાન
સૂત્રોના જણાવ્યાં મુજબ આઠમાં પગાર પંચની ભલામણો 2027ના મધ્ય સુધીમાં આવવાની સંભાવના છે ત્યાં સુધી હાલના મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલુ રહેશે. એટલે કે 60 ટકા બાદ પણ દર 6 મહિને તેમાં વધારો થતો રહેશે. હાલના ટ્રેન્ડને જોઈએ તો મે-જૂન 2027 સુધી મોંઘવારી ભથ્થું 70 ટકા સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે.
'શૂન્ય' થવાનો વાસ્તવિક સમય
અહીં એક મહત્વપૂર્ણ અંતર સમજવું ખુબ જરૂરી છે. પગાર પંચની આ ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગૂ ભલે થાય પરંતુ તેને માન્યતા અને અંતિમ સ્વરૂપ મળવામાં સમય લાગે છે. જ્યારં સુધી ભલામણો સંપૂર્ણ રીતે મંજૂર થઈને નવા પે મેટ્રિક્સ સાથે લાગૂ ન થઈ જાય ત્યાં સુધી DA ની જૂની ગણતરી ચાલતી રહે છે. તો જો ભલામણો મે-જૂન 2027 સુધીમાં આવી જાય તો મોંઘવારી ભથ્થાને 'શૂન્ય' પણ તે સમય (એટલે કે 2027)માં લાગૂ કરાશે, 1 જાન્યુઆરી 2026નો રોજ નહીં. પરંતુ મોંઘવારી ભથ્થું શૂન્ય 60 ટકાના આધાર પર જ થશે અને તેમાં વધારાના જે પૈસા તેના બદલામાં કર્મચારીઓને અપાશે તે ફાઈનલ ગણતરીમાં કન્સીડર કરાશે.
કેન્દ્રીય કર્મચારીઓએ આ સમગ્ર ઘટનાક્રમને બારીકાઈથી સમજવો પડે. ભલે 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગૂ થ ઈ જાય પરંતુ મોંઘવારી ભથ્થાની ગણતરી શૂન્ય થવાની પ્રક્રિયા થોડા મહિના કે કદાચ એક વર્ષ બાદ જ થશે. ત્યાં સુધી તમારા પગારમાં ડીએનો વધારો થતો રહેશે. આ એક એવી સ્થિતિ છે જ્યાં તમારે તમારી સેલરી સ્લિપ પર સતત નજર રાખવી પડશે અને સરકારની અધિકૃત જાહેરાતની રાહ જોવી પડશે.
શું છે આશાઓ
આ તો હતી મોંઘવારી ભથ્થાની વાત. આઠમાં પગાર પંચથી બીજી પણ અનેક આશાઓ છે. ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે? નવા પે મેટ્રિક્સ કેવા હશે? શું હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને ટ્રાવેલ એલાઉન્સ (TA)ના નિયમોમાં પણ ફેરફાર આવશે? આ તમામ સવાલના જવાબ આપણને 2027 સુધીમાં કે જ્યારે પંચ પોતાની અંતિમ ભલામણો સરકારને સોંપશે ત્યાં સુધીમાં મળી જશે. ત્યાં સુધી આપણે એ સમજવું જરૂરી છે કે ડીએની ગણતરી એક નિરંતર પ્રક્રિયા છે અને તે ત્યારે શૂન્ય થાય છે જ્યારે વા પગાર પંચની ભલામણો સંપૂર્ણ રીતે લાગૂ કરવામાં આવે છે.
(Disclaimer: આ આર્ટિકલ સૂત્રો પાસેથી મળેલી જાણકારી અને એક્સપર્ટ્સના મત પર આધારિત છે. અંતિમ નિર્ણય આઠમાં પગાર પંચના અધિકૃત રિપોર્ટ આવ્યા બાદ જ સરકાર તરફથી લેવામાં આવશે.
અહેવાલ સાભાર- ઝી બિઝનેસ હિન્દી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














