)
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે રાહતના સમાચાર છે. સરકારે આખરે આઠમાં પગાર પંચની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેબિનેટે હાલમાં જ તેના Terms of Reference (ToR)ને મંજૂરી આપી દીધી છે. જે પંચની કામ કરવાની દિશા અને સમયમર્યાદા નક્કી કરે છે. એટલે કે હવે કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા(DA) અને પેન્શન વધારવાની પ્રક્રિયા અધિકૃત રીતે શરૂ થઈ ચૂકી છે.
તેનાથી દેશભરના લગભગ 50 લાખ જેટલા કર્મચારીઓ અને 65 લાખ જેટલા પેન્શનર્સને સીધો ફાયદો થશે. આ સમયની રાહ કર્મચારીઓ કેટલાય મહિનાઓથી જોતા હતા. ત્યારે આઠમાં પગાર પંચ સંલગ્ન કેટલીક મહત્વની વાતો સરળ ભાષામાં સમજીએ.
1. સૌથી પહેલા એ જાણો કે નવો પગાર અને પેન્શન ક્યારથી લાગૂ થશે. અત્રે જણાવવાનું કે સરકારે પંચને પોતાનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે જો રિપોર્ટ નિર્ધારિત સમય પર આવી ગયો તો નવો પગાર અને પેન્શન દરો 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ જશે. જો કે ચૂકવણી થોડા મહિના બાદ શરૂ થશે. પરંતુ કર્મચારીઓ અને પેન્શનર્સને તે વચ્ચેનું એરિયર પણ મળશે.
2. પંચની કમાન સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને સોંપવામાં આવી છે. તેમની સાથે પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ મેમ્બર અને પંકજ જૈન મેમ્બર-સેક્રેટરી રહેશે. આ ટીમ 18 મહિનામાં આખો રિપોર્ટ તૈયાર કરશે.
3. કર્મચારીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે પગાર-પેન્શન કેટલા વધશે? હજુ સુધી સરકારે કોઈ અધિકૃત આંકડા જાહેર કર્યા નથી. પરંતુ છેલ્લા ટ્રેન્ડ્સ જોઈએ તો પગાર અને પેન્શનમાં લગભગ 30 ટકાથી 34 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
4. ફિટમેન્ટ ફેક્ટર એક એવો ફોર્મ્યૂલા છે જેનાથી જૂના પગારને ગુણીને નવો પગાર નક્કી થાય છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 હતો. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં અલગ અલગ અનુમાન કરવામાં આવી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં તો એવું પણ કહેવાયું છે કે આઠમાં પગાર પંચમાં તે 2.86 કે તેનાથી વધુ હોઈ શકે છે. જો આમ થાય તો કોઈ કર્મચારીનો બેઝિક પગાર 25000 હોય તો વધીને 71000 સુધી પણ પહોંચી શકે છે.
5. જ્યારે બેઝિક પે વધે તો તેના પર મળતા મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શન પર મળતા મોંઘવારી રાહત (DR) પણ આપોઆપ વધી જાય છે. તેનો અર્થ એ થયો કે ફક્ત પગાર જ નહીં પરંતુ પેન્શનર્સને પણ મોંઘવારીમાંથી રાહત મળશે.
6. નવા પગાર અને પેન્શન દરો 1 જાન્યુઆરી 2026થી રેટ્રોસ્પેક્ટિવ ઈફેક્ટથી લાગૂ થશે. એટલે કે રિપોર્ટ આવવાનો અને નવા દર લાગૂ થવા વચ્ચેનો જેટલા સમયનો ગેપ હશે તેનું એરિયર પણ મળશે.
7. ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના અધ્યક્ષ મનજીત સિંહ પટેલે સરકારને કહ્યું કે આઠમાં પગાર પંચમાં કેટલાક જરૂરી મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે. પેન્શનર્સની માંગણી છે કે 40 ટકા પેન્શન કમ્યુટેશનના સમયગાળાને 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવો, અને CGHS હેઠળ મેડિકલ મદદ વધારવી. તેમનું કહેવું છે કે વૃદ્ધ પેન્શનર્સ માટે 3000 રૂપિયાનું મેડિકલ ભથ્થું ખુબ ઓછું છે. તેને 20000 સુધી વધારવું જોઈએ.
8. હાલમાં ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF) એ દાવો કર્યો કે આઠમા પગાર પંચના ToR માં 69 લાખ પેન્શનર્સને બહાર રાખવામાં આવ્યા છે. સંગઠનનું કહેવું છે કે સાતમાં પગાર પંચમાં પેન્શનર્સની સમીક્ષાનો ઉલ્લેખ હતો. પરંતુ આ વખતે તે લાઈન હટાવી દેવાઈ છે. જો કે સરકારે તેના પર કોઈ અધિકૃત સ્પષ્ટતા કરી નથી.
9. સામાન્ય રીતે રાજ્ય સરકારો કેન્દ્રના પગાર પંચની ભલામણો અપનાવે છે. આથી આઠમાં પગાર પંચના રિપોર્ટની અસર રાજ્ય સરકારોના કર્મચારીઓના પગાર અને પેન્શન ઉપર પણ પડશે.
10. પંચે પોતાની ભલામણો બનાવતી વખતે દેશની આર્થિક સ્થિતિ, રાજકોષીય અનુશાસન અને વિકાસ યોજનાઓ માટે ફંડની જરૂરિયાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે.
આઠમું પગાર પંચ આવનારા મહિનાઓમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટો ફેરફાર લઈને આવી શકે છે. નવો પગાર, વધેલું પેન્શન અને મોંઘવારી રાહતનો ફાયદો લાખો લોકોને મળવાનો છે. હવે બધાની નજર પંચ આ રિપોર્ટ ક્યાં સુધીમાં સોંપશે અને સરકાર તેને ક્યારે લાગૂ કરશે તેના પર છે.
Disclaimer: અહીં જે જાણકારી આપવામાં આવી છે તે સાતમાં પગાર પંચના નિયમો અને કેટલીક ખાસ વાતોને તથા મીડિયા રિપોર્ટ્સ મુજબ અનુમાન લગાવવામાં આવ્યું છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે જયારે આઠમું પગાર પંચ આવશે તો તેના નિયમો, પગાર વધારાની રીત (ફિટમેન્ટ ફેક્ટર), ઘર ભાડા ભથ્થું (HRA/TA) અને મોંઘવારી ભથ્થું (DA)ના દરોમાં ફેરફાર હોઈ શકે છે.