)
એર ઈન્ડિયા વિમાન (AI171) દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. ભારતીય વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)ના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ ટેકઓફની ગણતરીની પળો બાદ જ વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. જેના કારણે વિમાનની સ્પીડ ધીમી થઈ અને ક્રેશ થઈ ગયું.
આ દરમિયાન બંને પાઈલોટો વચ્ચે વાતચીત થાય છે. એક પાઈલોટે પૂછયું કે તમે ફ્યૂલ કેમ બંધ કરી દીધુ? જેના પર બીજા પાઈલોટે જવાબ આપ્યો કે મે આવું નથી કર્યું. આ વાતચીતની ગણતરીની પળો બાદ જ પ્લેનની સ્પીડ ધીમી થવા લાગે છે અને આ વિમાન મેડિકલ કોલેજના બિલ્ડિંગ સાથે અથડાય છે.
આ મામલે AAIBએ અકસ્માતના કારણો જાણ્યા અને હવે 15 પાનાનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ પ્રાથમિક રિપોર્ટ છે. જેનાથી ટેક્નિકલ કારણોનો ખુલાસો થઈ શક્યો છે અને કોકપિટમાં થયેલી છેલ્લી વાતચીતે અનેક સવાલો પણ ઊભા કર્યા છે.
બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાને અમદાવાદ એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ગણતરીની પળોમાં એન્જિન ફેઈલ થવાના કારણે વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. અત્રે જણાવવાનું કે એર ઈન્ડિયાનું આ વિમાન 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો અને ક્રુ મેમ્બર્સ તથા 19 અન્ય નાગરિકો સામેલ હતા.
ઉડાણ ભર્યાના ગણતરીની પળો બાદ બંને એન્જિનના ફ્યૂલ કટઓફ સ્વિચ 'RUN' થી 'CUTOFF' સ્થિતિમાં આવી ગયા હતા. તે પણ ફક્ત એક સેન્ડના અંતરે. ત્યારબાદ બંને એન્જિનોની થ્રસ્ટ ક્ષમતા સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ. વિમાન ટેકઓફ બાદ તરત સીધુ અમદાવાદની મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું. જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું.
કોકપિટમાં ચોંકાવનારી વાતચીત
અકસ્માતની ગણતરીની પળો પહેલા પાઈલોટો વચ્ચે વાતચીત રેકોર્ડ થઈ છે. એક પાઈલોટે પૂછ્યું કે તમે ફ્યૂલ કેમ બંધ કર્યું? જેના પર બીજા પાઈલોટે જવાબ આપ્યો કે, મેં આવું નથી કર્યું. આ સંવાદ ટેક્નિકલ ખરાબી કે માનવીય ભ્રમ તરફ ઈશારો કરે છે. ટેકઓફની ગણતરીની પળો બાદ સીસીટીવીમાં જોવા મળ્યું કે ઈમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ (RAT) સક્રિય થઈ ગયું જે ત્યારે જ થાય છે જ્યારે એન્જિન બંધ થઈ જાય.
ફ્યૂલ સ્વિચ ફરી ચાલુ કરાયા
એક એન્જિન (Engine 2) એ થોડીવાર માટે કામ કરવાનું શરૂ કર્યું પરંતુ બીજુ એન્જિન (Engine 1) સ્થિર થઈ શક્યું નહીં. રિપોર્ટમાં કહેવાયું કે તપાસમાં પક્ષી અથડાવવાના કોઈ પુરાવા મળ્યા નથી જેના કારણે આ કારણ હોઈ શકે નહીં.
વિમાનના આગળના ભાગમાં લાગેલા EAFR (Extended Airframe Flight Recorder)થી ડેટા સફળતાપૂર્વક કાઢી લેવાયો જો કે પાછળવાળું રેકોર્ડર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયું. રિપોર્ટમાં કહેવાયું છે કે હજુ સુધી બોઈંગ કે GE એન્જિન નિર્માતાને કોઈ ચેતવણી કે એડવાઈઝરી ઈશ્યુ કરાઈ નથી. કારણ કે અકસ્માતના વાસ્તવિક કારણ હજુ પણ તપાસના દાયરામાં છે.
જુઓ Video