)
Ahmedabad Plane Crash : ગુજરાતના અમદાવાદમાં થયેલા દેશના સૌથી મોટા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલ પર વિવાદ ઉભો થયો છે. AI 171ના મુખ્ય પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ નવેસરથી તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, લીક થવાની ઘટનાને કારણે તેમના પુત્રની છબી ખરાબ થઈ છે.
પાયલટ સુમિત સભરવાલના પિતાએ દુઃખ વ્યક્ત કર્યું
12 જૂને ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો. હવે, આ અકસ્માતની તપાસ અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. ફ્લાઇટના પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના 91 વર્ષીય પિતા પુષ્કરાજ સભરવાલે કેન્દ્ર સરકાર પાસેથી ઔપચારિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના પ્રારંભિક અહેવાલમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવ્યા છે. પિતાએ કહ્યું છે કે, 260 લોકોના મોત થયેલા વિમાન દુર્ઘટનાના અહેવાલની મહત્વની માહિતી લીક થવાથી તેમના પુત્રની છબી ખરાબ થઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના લગભગ એક મિનિટ પછી વિમાન ક્રેશ થયું હતું.
પુત્રની છબી ખરડાઈ
પુષ્કરાજ સભરવાલે નાગરિક ઉડ્ડયન સચિવ અને AAIB વડાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તપાસ અહેવાલના કેટલાક ભાગો મીડિયામાં લીક થયા છે. આ લીકમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેપ્ટન સુમિત માનસિક તણાવમાં હતો અને આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. પુષ્કરાજે આને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ અટકળો તેમના પરિવાર માટે અત્યંત પીડાદાયક હતી. પિતાએ કહ્યું હતું કે આનાથી તેમના પુત્રની છબી ખરડાઈ છે. નોંધનીય છે કે સુમિત સભરવાલ 12 જૂને અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટના મુખ્ય પાઇલટ હતા. સભરવાલ માને છે કે તપાસના કેટલાક પાસાઓની સચોટ જાણ કરવામાં આવી રહી નથી. તેથી, તેમણે આ મામલે સરકારના હસ્તક્ષેપની વિનંતી કરી છે.
અધૂરો અહેવાલ, વિવિધ તથ્યો
29 ઓગસ્ટના રોજ લખેલા પત્રમાં, પુષ્કરાજ સભરવાલે વિનંતી કરી હતી કે, કેન્દ્ર સરકાર વિમાન (અકસ્માત અને ઘટનાઓની તપાસ) નિયમો, 2017 ના નિયમ 12 હેઠળ અકસ્માતની ઔપચારિક તપાસ કરે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) એ હજુ સુધી આ પત્રનો જવાબ આપ્યો નથી. AAIB એ 12 જુલાઈના રોજ તેનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર પાડ્યો હતો, અને ત્યારથી અકસ્માતના કારણ વિશે અનેક અટકળો શરૂ થઈ છે. પુષ્કરાજે પોતાના પત્રમાં લખ્યું છે કે પ્રારંભિક અહેવાલ અકસ્માત વિશે કોઈ સ્પષ્ટતા આપતો નથી, ફક્ત અસ્પષ્ટ નિવેદનો આપી રહ્યો છે. એવું લાગે છે કે અહેવાલ વિમાન ઉત્પાદકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અહેવાલ અધૂરો, ગેરમાર્ગે દોરનારો અને ખોટો છે. તેના પ્રારંભિક અહેવાલમાં, AAIB એ જણાવ્યું હતું કે વિમાનના બંને એન્જિનને બળતણ પુરવઠો એક સેકન્ડમાં બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે ટેકઓફ પછી તરત જ કોકપીટમાં મૂંઝવણ ઊભી થઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે કોકપીટના અવાજ રેકોર્ડિંગમાં, એક પાઇલટ બીજાને પૂછે છે કે તેણે બળતણ કેમ કાપી નાખ્યું. બીજા પાઇલટે જવાબ આપ્યો કે તેણે નથી કર્યું.
પિતાએ અનેક આરોપોને નકારી કાઢ્યા
પુષ્કરરાજે તેમના પુત્રના માનસિક સ્વાસ્થ્ય વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે કેટલાક અહેવાલો દર્શાવે છે કે સુમિત છૂટાછેડા લઈ ચૂક્યો હતો અને આ કારણે તે હતાશ હતો. પિતાએ જણાવ્યું કે કેપ્ટન સભરવાલના છૂટાછેડા 15 વર્ષ પહેલા નક્કી થઈ ગયા હતા. તેમણે ઉમેર્યું કે કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે તેમની માતાના મૃત્યુને કારણે તેઓ આત્મહત્યા કરવા માંગતા હતા. તેમની માતાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારથી, કેપ્ટન સભરવાલ એક પણ અકસ્માત વિના 100 થી વધુ ફ્લાઇટ્સ ઉડાવી ચૂક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે નોંધનીય છે કે કેપ્ટન સભરવાલનો 25 વર્ષથી વધુની કારકિર્દીમાં ક્યારેય અકસ્માત થયો નથી. પિતાએ જણાવ્યું કે મીડિયાને આ માહિતી આપવામાં આવી રહી છે. આનાથી તેમને ખૂબ જ તકલીફ થઈ રહી છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આમાં તેમના સ્વર્ગસ્થ પુત્રની પ્રતિષ્ઠાનો અધિકાર પણ શામેલ છે.