)
અમદાવાદમાં 12 જૂનના રોજ 242 મુસાફરોને લઈને જતું એર ઈન્ડિયાનું વિમાન ઉડાણની ગણતરીની મિનિટો બાદ કેમ ધડામ દઈને નીચે પડ્યું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું તેનું મોટું કારણ સામે આવ્યું છે. એર ઈન્ડિયાના પાઈલોટોએ તબાહીની એ અંતિમ પળો જેવી સ્થિતિ ઊભી કરીને એ ચકાસ્યું કે આવું કયા કારણોસર થયું હોઈ શકે.
એર ઈન્ડિયાના પાઈલોટોએ સિમ્યુલેશન દ્વારા વિમાનની સ્થિતિ જાણવાની કોશિશ કરી, જે પ્લેન ક્રેશ વખતે પેદા થઈ હતી. પાઈલોટ્સે લેન્ડિંગ ગિયર લગાવવાની સાથે પ્લેનની પાંખોને પાછળ ખેંચી. જેમાં જાણવા મળ્યું કે વિંગ ફ્લેપનું સંકોચાવવું, દુર્ઘટનાનું કારણ હોઈ શકે નહીં.
સૂત્રોના હવાલે બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવાયું છે કે ફ્લાઈટ સિમ્યુલેટરમાં એર ઈન્ડિયાના પાઈલોટ્સે પ્લેનના નીચા પડવા દરમિયાન કઈ કઈ ટેક્નિકલ ખામી આવે છે, તેને જોઈ અને સંભવિત કારણો વિશે જાણ્યું. જો કે એર ઈન્ડિયાએ આ તપાસ અંગે કશું પણ કહેવાની ના પાડી દીધી છે.
રિપોર્ટ મુજબ બોઈંગ 787ની ફ્લાઈટ એઆઈ 171ના કાટમાળની તસવીરો જોતા ખબર પડે છે કે તેના ફ્લેપ (પાંખો) ખુલ્લા હતા, સંકોચાયેલા નહીં જે પહેલા કહેવાતું હતું. ફ્લેપના કારણે એરક્રાફ્ટને ટેકઓફ દરમિયાન ઉપર જવામાં કે લેન્ડિંગ દરમિયાન ઝડપ ઓછી કરવામાં મદદ મળે છે. રિપોર્ટ દ્વારા તમામ વિશેષજ્ઞોએ સંભાવના જતાવી છે કે ટેક્નિકલ ખામીઓના કારણે પ્લેન ક્રેશ થયું હોઈ શકે છે.
બંને એન્જિન ફેઈલ
વિમાનન વિશેષજ્ઞ અને પૂર્વ નેવી પાઈલોટ કેપ્ટન સ્ટીવ શિબનરે કહ્યું કે બંને એન્જિનનું એક સાથે ફેલ થવું અકસ્માતનું એક કારણ બની શકે છે. ઉડાણ બાદ તરત જ ram air turbineનો ઉપયોગ ટેકઓફના તરત બાદ બંને એન્જિનના ફેલ થવાની સંભાવના તરફ ઈશારો કરે છે. સિમ્યુલેશનની આ પ્રક્રિયા વિમાન અકસ્માતની થઈ રહેલી અધિકૃત તપાસથી અલગ છે.
એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે પ્લેન ક્રેશની સંભવિત સ્થિતિઓ વિશે જાણકારી મેળવવા માટે આ સિમ્યુલેશન કરાયું. દુર્ઘટનાના ફૂટેજના આધારે એર ઈન્ડિયાના પાઈલોટ્સે જાણ્યું કે વિમાનનું લેન્ડિંગ ગિયર થોડું આગળની તરફ ઝૂકેલું હતું. જે દર્શાવે છે કે ટેકઓફ બાદ પૈડાની અંદર આવવાની પ્રક્રિયા શરૂ થવાની હતી. પરંતુ તે વખતે લેન્ડિંગ ગિયરના દરવાજા ખુલ્યા નહતા. જે સંકેત આપે છે કે વિમાનની અંદર અચાનક પાવર લોસ (ઈલેક્ટ્રિસિટી ફેલ) કે હાઈડ્રોલિક ફેલની સ્થિતિ સર્જાઈ હશે.
પ્લેનનું બ્લેકબોક્સ મળી ચૂક્યું છે અને તેનો ડેટા પણ ડાઉનલોડ થઈ ગયો છે. એવું કહેવાય છે કે આગામી થોડા દિવસમાં સ્પષ્ટ રીતે ખબર પડી જશે કે વિમાન અકસ્માતની અંતિમ પળોમાં શું થયું હતું. AAIB ની દિલ્હી લેબમાં આ અંગે તપાસ ચાલુ છે.