જળવાયુ પ્રદૂષણઃ હેવી મેટલ્સ પ્રવેશી રહ્યાં છે આપણાં શરીરમાં, AIIMSનો રિપોર્ટ

દિલ્હીની AIIMSમાં તાજેતરમાં જ એક 'ઈકોટોક્સિકોલોજી' નામની લેબોરેટરી ખુલી છે, જેમાં લોકોમાં થતી બિમારીના મૂળ વિશે સંશોધન કરવામાં આવે છે. આ લેબોરેટરીમાં પ્રથમ વખત લગબગ 200 લોકો પર થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, 200માંથી 32 લોકોના શરીરમાં નુકસાનકારક કેમિકલ્સની હાજરી જોવા મળી છે.

જળવાયુ પ્રદૂષણઃ હેવી મેટલ્સ પ્રવેશી રહ્યાં છે આપણાં શરીરમાં, AIIMSનો રિપોર્ટ

નવી દિલ્હીઃ આપણે ઘણા કિસ્સામાં જોઈએ છીએ કે દારૂ, તમાકુ કે સિગારેટની ટેવ ન હોવા છતાં પણ લોકોને ફેફસાંનું કેન્સર, અસ્થમા, લીવરની સમસ્યા કે કિડની ખરાબ થઈ જવા જેવી ખતરનાક અને જીવલેણ બિમારીનો ભોગ બનેલા હોય છે. ડોક્ટર પાસે જાય અને વિસ્તૃત તપાસમાં જ્યારે ખબર પડે કે તેમને આ પ્રકારની ગંભીર બિમારી થઈ છે ત્યારે આપણે સવાલ કરતા હોઈએ છીએ કે, આ બિમારીનું જે મુખ્ય તબીબી કારણ છે તેમાંથી એક પણ કુટેવ વ્યક્તિને નથી, તેમ છતાં આ બિમારી થઈ શા માટે? 

જોકે, હવે આ બિમારી થવા પાછળનું મુખ્ય કારણ જાણવા મળી ગયું છે. દિલ્હીની AIIMSમાં તાજેતરમાં જ એક 'ઈકોટોક્સિકોલોજી' નામની લેબોરેટરી ખુલી છે, જેમાં લોકોમાં થતી બિમારીના મૂળ વિશે સંશોધન કરવામાં આવે છે. આ લેબોરેટરીમાં પ્રથમ વખત લગબગ 200 લોકો પર થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, 200માંથી 32 લોકોના શરીરમાં નુકસાનકારક કેમિકલ્સની હાજરી જોવા મળી છે. આ કેમિકલ્સમાં ફ્લોરાઈડ, આર્સેનિક અને મર્ક્યુરી જેવા ખતરનાક હેવી મેટલ્સ જોવા મળ્યાં છે. 

દિલ્હી AIIMSના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે માત્ર હવા, પાણી જ નહીં પરંતુ ફળો અને શાકભાજી પણ દુષિત થઈ રહ્યાં છે. આ બધાનાં કારણે તમારા શરીરમાં આ પ્રકારના ખતરનાક અને જીવલેણ કેમિક્લસ અને હેવી મેટલ્સ મળવાની સંભાવના વધી જાય છે. 

AIIMSના ડોક્ટરોએ એવું પણ જણાવ્યું કે, વધી રહેલા પ્રદૂષણના સ્તરના કારણે કેટલાક નવજાત શિશુઓની ગર્ભનાળના લોહીમાં કીટાણુનાશકોની હાજરી પણ જોવા મળી છે. એટલે કે, આપણી ભવિષ્યની પેઢી જન્મતાં પહેલાં જ પ્રદૂષણ અને પેસ્ટિસાઈડ્સ જેવા ખતરનાક કેમિકલ્સથી થતી બિમારીનો ભોગ બનેલી હશે. 

દુનિયાની પ્રથમ ઈકોટોક્સિકોલોજી લેબોરેટરી
આ દુનિયાની પ્રથમ લેબોરેટરી છે, જે વાતાવરણમાં રહેલા નુકસાનકારક તત્વો અને પ્રદુષણની અસર વચ્ચેના વૈજ્ઞાનિક સંબંધને શોધી રહી છે. લક્ષણોના આધારે જો ચેકઅપ દરમિયાન ડોક્ટરને લાગે કે દર્દીના શરીરમાં કોઈ નુકસાનકારક પદાર્થ હોઈ શકે છે તો તેને આ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. લેબોરેટરી માત્ર બે દિવસમાં જ ટેસ્ટનો રિપોર્ટ આપી દે છે. આ લેબોરેટરીમાં ફ્લોરાઈડ, મર્ક્યુરી, આર્સેનિક અને લેડ જેવા ભારે અને નુકસાનકારક ધાતુઓના ટેસ્ટ પણ કરાવી શકાશે. 

આ લેબોરેટરીમાં માત્ર તમારા શરીરનો જ ટેસ્ટ નહીં થાય, પરંતુ તમારા ઘરના પાણી અને ખાદ્ય પદાર્થોની તપાસ પણ થઈ શકશે. તેના દ્વારા એ જાણી શકાશે કે તમારા શરીરમાં જે નુકસાનકારક કેમિકલ્સ અને ધાતુઓનો સ્રોત ક્યાંથી આવ્યો છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news