)
Amarnath Yatra 2025: આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે. અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે ભક્તો 39 દિવસ સુધી બાબા બર્ફાની ના દર્શન કરી શકશે. આ વર્ષે તમે પણ અમરનાથ યાત્રા કરવાનો વિચારી રહ્યા છો તો તમારા માટે ખાસ ખબર છે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. આ અંગે મળતી જાણકારી અનુસાર 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. રજીસ્ટ્રેશન દેશભરમાં આવેલી 533 બેંક શાખામાંથી કરાવી શકાશે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આધાર કાર્ડ અને હેલ્થ સર્ટિફિકેટ જરૂરી હશે.
મહત્વનું છે કે આ વર્ષે અમરનાથ યાત્રા માટે સરકારે પણ ખાસ તૈયારી કરી છે જેથી શ્રદ્ધાળુઓ સારી સુવિધા સાથે અમરનાથ બાબાના દર્શન કરી શકે. અમરનાથ યાત્રા સુરક્ષિત વાતાવરણમાં પૂર્ણ થાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે અમરનાથ યાત્રા 39 દિવસ સુધી ચાલશે. એટલે કે આ વખતે ભક્તોને પવિત્ર અમરનાથ ગુફામાં દર્શન કરવા માટે સારો સમય મળશે. બેંકોમાં પણ રજીસ્ટ્રેશનની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થઈ જશે. રજીસ્ટ્રેશન પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓમાંથી કરાવી શકાશે.
રજીસ્ટ્રેશન માટેનો ખર્ચ
રજીસ્ટ્રેશન કરાવવા માટે 150 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. શ્રદ્ધાળુ પહેલગામ અને બાલટાલ કોઈપણ રસ્તેથી યાત્રા કરી શકાશે. બંને રૂટ માટે અલગ અલગ રંગની પહોંચ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન આધારકાર્ડના માધ્યમથી થશે અને બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરવામાં આવશે. યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવતી વખતે હેલ્થ સર્ટિફિકેટ પણ જરૂરી હશે. અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા એ હોસ્પિટલ અને ક્લિનિકનું લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યાંથી હેલ્થ સર્ટીફીકેટ લઈ શકાશે.
8 એપ્રિલ પછીનું હેલ્થ સર્ટીફિકેટ
અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન માટે રાજ્યના 20 જિલ્લામાં રજીસ્ટ્રેશન સેન્ટર બનાવવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન માટે હેલ્થ સર્ટિફિકેટ 8 એપ્રિલ કે ત્યાર પછીનું હોવું જરૂરી છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 13 વર્ષથી 70 વર્ષ સુધીની વયના લોકો કરાવી શકશે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા યાત્રીઓની સુરક્ષા અને આરામનું ધ્યાન રાખવામાં આવશે. શ્રદ્ધાળુઓને રહેવાની, ખાવા પીવાની અને મેડિકલ સુવિધા તેમજ સુરક્ષાની વ્યવસ્થા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.