)
હજુ સુધી ભાજપ અધ્યક્ષની ચૂંટણી થઈ શકી નથી. એક બાજુ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અંગે ગરમાવો છે જ્યારે બીજી બાજુ ભાજપ સંગઠનની ફાઈનલ રૂપરેખા હજુ સુધી તૈયાર થઈ શકી નથી. આ બધા વચ્ચે ચર્ચા છે કે અધ્યક્ષ પદ માટેના નામ પર ભાજપ અને આરએસએસ વચ્ચે સહમતિ બની શકી નથી. જો કે તેના પર અધિકૃત નિવેદન આવ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે કઈક વાતો સામે આવી છે. એમ પણ કહેવાયું છે કે એક નવા નામ અંગે સંઘે લીલી ઝંડી આપી છે બસ હવે પીએમ મોદીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
ભાજપના નવા અધ્યક્ષનું એલાન
અસલમાં મળતી માહિતી મુજબ એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર પસંદ કરવાની જવાબદારી પણ પીએમ નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડાને સોંપવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે જેપી નડ્ડા સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી પોતાના પદ પર રહેશે. ત્યારબાદ જ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થશે. આમ પણ ભાજપ અધ્યક્ષ પદની ચૂંટણી લાંબા સમયથી ટાળી રહ્યું છે. નડ્ડા સતત ત્રણ કાર્યકાળથી આ પદ પર છે. અંદાજો હતો કે ગત વર્ષ જૂનમાં ચૂંટણી થઈ શકે છે. જે ટળતા ટળતા હવે અહીં સુધી પહોંચી ગઈ.
નવા નામમાં સંઘને રસ?
આ બધા વચ્ચે નવા અધ્યક્ષ અંગે ચર્ચાઓ આ વર્ષ જાન્યુઆરીથી શરૂ થઈ હતી. ત્યારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નામ સામે આવ્યું હતું. પરંતુ દિલ્હી ચૂંટણીના કારણે વાતચીત થોડો સમય અટકી ગઈ. રિપોર્ટ્સ મુજબ સંઘ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નામમાં રસ દાખવી રહ્યો છે. અધ્યક્ષ પદ અંગે શિવરાજનું નામ નવું જરૂર છે પરંતુ તેઓ અનુભવમાં ઘણા આગળ છે. એટલું જ નહીં સૂત્રો મુજબ સંઘે પોતાની મંજૂરી પણ આપી દીધી છે. જ્યારે ભાજપની અંદર ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાન જેવા નેતાઓના નામ પણ ચર્ચામાં છે.
આરએસએસ અને પીએમ મોદી પર નજર
પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી માટે 50 ટકા યુનિટ્સમાં મતદાન થઈ ચૂક્યું છે. ભાજપ હવે યુપી, હરિયાણા, ગુજરાત, કર્ણાટક અને દિલ્હીની આગામી ચૂંટણીઓમાં વ્યસ્તતાને વિલંબનું કારણ ગણાવે છે. આ અટકળો વચ્ચે રાજનીતિક વર્તુળોમાં મોહન ભાગવત અને પીએમ મોદી ઉપર પણ ચર્ચા છે કે આખરે નામની જાહેરાતમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે? એક રિપોર્ટમાં સંઘ સૂત્રએ એમ પણ કહ્યું કે સંઘે નિર્ણય ભાજપ પર છોડ્યો છે. હવે નજર આરએસએસ અને પીએમ મોદી પર છે.