)
NDA Bihar Seat Sharing 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની જાહેરાત બાદ NDAમાં બેઠકોની વહેંચણી અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓનો આજે આખરે અંત આવ્યો. રવિવારે NDAના તમામ ઘટક પક્ષો અંતિમ બેઠકોની વહેંચણી ફોર્મ્યુલા પર સંમત થયા. કેન્દ્રીય મંત્રી અને બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "X" પર એક પોસ્ટમાં આ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી. પ્રધાને જણાવ્યું કે, એનડીએમાં ભાજપ અને જેડીયુએ બન્નેને 101 બેઠકો મળી છે. આનો અર્થ એ થયો કે, બિહારની રાજનીતિમાં ફરી એકવાર જેડીયુ અને ભાજપ સમાન રીતે લડશે.
જાણો કેવી રીતે બેઠકોની વહેંચણી
સૂત્રોના જણાવ્યા અનુસાર, NDAએ તેના સાથી પક્ષો માટે એક નવું ફોર્મ્યુલા અપનાવ્યું છે, એક સાંસદ બેઠક માટે છ વિધાનસભા બેઠકો. આ આધારે બેઠક વહેંચણી કરવામાં આવી છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાનને પાંચ સાંસદોના આધારે 29 બેઠકો આપવામાં આવી છે. જ્યારે ઉપેન્દ્ર કુશવાહાની RLSPને એક સાંસદના આધાર પર છ બેઠકો આપવામાં આવી છે અને જીતન રામ માંઝીની HAM પાર્ટીને પણ એક સાંસદના આધારે છ બેઠકો આપવામાં આવી છે.
મુખ્યમંત્રી નીતિશે બતાવ્યું 'મોટું દિલ'
2025ની વિધાનસભા ચૂંટણીમાં JDUએ મોટું દિલ બતાવ્યું છે. 2020ની ચૂંટણીમાં JDUએ 115 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 43 બેઠકો જીતી હતી. આ વખતે પાર્ટીએ પોતાની સંખ્યા 14 ઘટાડીને 101 કરવાનો નિર્ણય લીધો છે. JDUએ પોતાના સાથી પક્ષો માટે જગ્યા છોડવા અને ગઠબંધનની એકતા જાળવી રાખવા માટે આ પગલું ભર્યું છે.
"જુડવા ભાઈ"ની ભૂમિકામાં ભાજપ
ભાજપે આ વખતે ગઠબંધનની ભાવનાને પ્રાથમિકતા આપતા જુડવા ભાઈની ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું છે. 2020ની ચૂંટણીમાં ભાજપે 110 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 78 બેઠકો જીતી હતી. વિધાનસભા ચૂંટણી 2025માં પાર્ટી 101 બેઠકો પર ચૂંટણી લડશે, જેમાં તેના સાથી પક્ષો માટે 9 બેઠકો છોડી દેશે. રાજકીય વિશ્લેષકો માને છે કે, ભાજપે આ નિર્ણય ગઠબંધનની સ્થિરતા અને ચૂંટણી સંકલનને મજબૂત બનાવવા માટે લીધો છે.
ડ્રાઇવિંગ સીટ પર નીતીશ કુમાર
જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, હવે જેડીયુ અને ભાજપ વચ્ચેનો સંબંધ "મોટા ભાઈ-નાના ભાઈ" જેવો નથી, પરંતુ 'જુડવા ભાઈઓ' જેવો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, પાર્ટી સંપૂર્ણપણે સંતુષ્ટ છે અને આજે કોઈને કોઈ ફરિયાદ નથી.
ત્યાગીએ સ્પષ્ટપણે કહ્યું કે, બિહારમાં મુખ્યમંત્રીનો ચહેરો માત્ર નીતિશ કુમાર જ હશે, પછી ભલે NDAમાં કોઈને ગમે તેટલી બેઠકો મળે. તેમણે યાદ અપાવ્યું કે, આ પહેલા પણ ઘણી વખત ભાજપ JDU કરતાં આગળ નીકળી ગયું છે, પરંતુ નીતિશ કુમાર હંમેશા મુખ્યમંત્રી બન્યા છે.
તેમણે કહ્યું કે, "બેઠકોની સંખ્યા ઓછી હોય કે વધુ, ડ્રાઈવિંગ સીટ પર તો નીતિશ કુમાર જ છે." આ સાથે જ તેમણે NDAના સાથી પક્ષો વિશે કહ્યું કે, "પાસવાન, માંઝી અને કુશવાહાજી અમારા પોતાના પરિવારમાંથી છે. અમારું DNA એક જ છે, કારણ કે તેઓ બધા એક સમયે જનતા દળમાંથી ઉભરી આવ્યા હતા."
છેલ્લી ચૂંટણીમાં કેટલી બેઠકો પર ચિરાગ પાસવાને નુકસાન પહોંચાડ્યું હતું?
છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એકલા લડીને ચિરાગ પાસવાને NDA અને ખાસ કરીને JDUને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું. તેના કારણે JDUને ઓછામાં ઓછી 40 બેઠકો પર મહાગઠબંધને જીત મળી હતી, જેના કારણે નીતિશ કુમારને ત્રીજા સ્થાને રહેવું પડ્યું હતું. ત્યારબાદ JDU સામે ઉમેદવારો ઉભા રાખવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા ચિરાગ પાસવાને કહ્યું કે, તેમનો ઇરાદો નીતિશ કુમારની પાર્ટીને નબળી પાડવાનો હતો અને તે સફળ થયો.
તેમણે કહ્યું કે, "હું ઇચ્છતો હતો કે નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી ન બને, જેના માટે મેં ઈમાનદારીથી પ્રયાસ કર્યો... પરંતુ અમે લોકો દ્વારા આપવામાં આવેલા જનાદેશનો આદર કરીએ છીએ. જો તે અમારા હાથમાં હોત, તો અમે હસ્તક્ષેપ કર્યો હોત. પરંતુ આ ભાજપ અને JDUને આપવામાં આવેલ સ્પષ્ટ જનાદેશ છે, અને તેમણે નિર્ણય લેવાનો છે." જો કે, JDU કરતા વધુ બેઠકો જીતવા છતાં ભાજપે નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા.