Bihar: ચિરાગ પાસવાનની LJP અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી, સૂરજભાન સિંહ નવા પાર્ટી ચીફ

બિહારની રાજનીતિમાં હલચલ ચાલી રહી છે. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પદેથી ચિરાગ પાસવાનને હટાવી દેવામાં આવ્યા છે. હવે ચિરાગ અને તેના સમર્થક પણ આર-પારની લડાઈના મૂડમાં છે. 
 

Bihar: ચિરાગ પાસવાનની LJP અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી, સૂરજભાન સિંહ નવા પાર્ટી ચીફ

નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મંગળવારે સંસદીય દળના નેતા પશુપતિ કુમાર પારસના નિવાસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્વસંમત્તિથી ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને સૂરજભાન સિંહને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને તે નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે 5 દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક હોલાવે. પાર્ટી પર પોતાનો પ્રભાવ બનાવી રાખવાના પ્રયાસ હેઠળ ચિરાગ પાસવાન સોમવારે જ્યારે દિલ્હીમાં પોતાના કાકા પશુપતિ કુમાર પારસના ઘરે પહોંચ્યા હતા ત્યારે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે તેમના રાજીનામાની રજૂઆતની સાથે તેમના માતા રીના પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ સામેલ હતી. 

પરંતુ પોતાના કાકાએ તેમને ઘરના ગેટની બહાર 20 મિનિટ સુધી રાહ જોવડાવી અને ત્યારબાદ આશરે 1.30 કલાક ત્યાં રહ્યા બાદ પણ કાકા સાથે મુલાકાત થઈ શકી નહીં. મહત્વનું છે કે પશુપતિ કુમાર પારસને ચિરાગને છોડી પાર્ટીના અન્ય પાંચ સાંસદોનું સમર્થન હાસિલ હોવાને કારણે તેઓ મજબૂત છે. તેઓ પાર્ટી પર કબજો કરવા માંગે છે. ચિરાગનો પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ પણ હાલ કાકાની સાથે છે. તેવામાં ચિરાગ પાર્ટીમાં એકલા પડી ગયા છે. 

ચિરાગ પાસવાને જૂનો પત્ર ટ્વિટર પર કર્યો શેર
આ દરમિયાન ચિરાગે પોતાના કાકા પશુપતિ પારસને 29 માર્ચ 2021ના લખેલો એક પત્ર જાહેર કરી દીધો છે. આ પત્રમાં તેમણે સ્પષ્ટ લખ્યુ છે કે, 2019માં રામચંદ્ર કાકાના નિધન બાદથી તમારામાં ફેરફાર જોવા મળ્યો જે આજ સુધી જોઈ રહ્યો છું. કાકાના નિધન બાદ પ્રિન્સની જવાબદારી કાકીએ મને આપી અને કહ્યું કે, આજથી હું પ્રિન્સના પિતા સમાન છું. પ્રિન્સને આગળ વધારવા માટે તેને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મેં આપી. બધા લોકો આ નિર્ણયથી ખુશ હતા પરંતુ મને ત્યારે દુખ થયું જ્યારે તમે આ નિર્ણયના વિરોધમાં નારાજ થઈ ગયા અને તમે પ્રિન્સને મળેલી નવી જવાબદારી માટે શુભેચ્છા આપવાનું પણ યોગ્ય સમજ્યું નહીં. 

— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) June 15, 2021

આ પહેલા રવિવારે મોડી સાંજે પાંચ સાંસદોએ પશુપતિ પારસને પોતાના નેતા ચૂંટી લીધા હતા. પારસ હાજીપુરથી સાંસદ છે. આ સિવાય તેમની સાથે ચૌધરી મહબૂબ, અલી કૈશર, વીણા સિંહ, સૂરજભાનના ભાઈ સાંસદ ચંદન સિંહ અને રામચન્દ્ર પાસવાનના પુત્ર પ્રિન્સ રાજ છે. પારસના ભત્રીજા પ્રિન્સ બિહાર લોજપાના અધ્યક્ષ પણ છે. બધા સાંસદોએ પારસને પોતાના નેતા પસંદ કર્યા બાદ રવિવારે રાત્રે લોકસભા અધ્યક્ષને પત્ર સોંપવામાં આવ્યો હતો. સોમવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ તેમને માન્યતા આપી દીધી હતી. હવે જોવાનું તે રહેશે કે કાકાના આ નિર્ણય બાદ ચિરાગ પાસવાન આગળ શું કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news