)
Delhi Lal Quila Blast: દિલ્હીમાં તાજેતરમાં લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટના પહેલાં પોલીસે ડોક્ટર મુઝમ્મિલ શકીલની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરી હતી. હવે આ સંદર્ભે આતંકીનો ઇન્ટરોગેશન રિપોર્ટ સામે આવ્યો છે. જણાવી દઈએ કે ડોક્ટર મુઝમ્મિલ મૂળ રૂપે પુલવામાના કોઇલ વિસ્તારનો રહેવાસી છે. 10 નવેમ્બર 2025ના રોજ શ્રીનગરના પંથાચોક પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેની ધરપકડ ફરીદાબાદના ધૌજ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. અહીંથી હથિયારો, ગોળીઓ, કેમિકલ પાવડર, ટાઈમર, રિમોટ અને IED બનાવવાનો સામાન પણ મળ્યો હતો.
આતંકવાદ તરફ કેવી રીતે વળ્યો ડોક્ટર મુઝમ્મિલ?
મુઝમ્મિલ ફરીદાબાદની અલ-ફલા હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે કામ કરતો હતો અને વાર્ષિક લગભગ 9 લાખ રૂપિયા કમાતો હતો. વર્ષ 2021માં તેના મિત્ર મુફ્તી ઇરફાન વાગે એ તેને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ ઉશ્કેરવાનું શરૂ કર્યું. તેનો એક અન્ય મિત્ર આતંકી મુઝામિલ તંત્ર પણ તેને આ દિશામાં ધકેલતો હતો. વર્ષ 2021માં જ્યારે મુઝામિલ તંત્ર બીમાર પડ્યો હતો, ત્યારે મુઝમ્મિલ તેને એક દવા લેવાની સલાહ પણ આપી હતી. વર્ષ 2023-24માં IED અને અન્ય હથિયારોની મોટાભાગની વ્યવસ્થા ફરાર આરોપી ડોક્ટર ઉમર નબી કરતો હતો, પરંતુ પૈસા ઘણા લોકોએ મળીને ભેગા કર્યા હતા.
આતંક માટે પહેલાં ધન એકઠું કર્યું પછી થયો ઝઘડો!
મુઝમ્મિલ (5 લાખ), ડોક્ટર આદિલ રદર (8 લાખ), ડોક્ટર ઉમર (2 લાખ), ડોક્ટર મુઝફ્ફર રદર (6 લાખ) અને ડોક્ટર શાહીન શાહિદ (5 લાખ) સહિત કુલ 26 લાખ રૂપિયા એકઠા કરીને ઉમરને આપવામાં આવ્યા હતા. મુઝમ્મિલ કબૂલ્યું કે તેણે ગુરુગ્રામ અને નૂહમાંથી લગભગ 26 ક્વિન્ટલ NPK ફર્ટિલાઇઝર ખરીદ્યું, જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા હતી. આ બધું IED બનાવવા માટે રાખવામાં આવ્યું હતું.
બાકીના કેમિકલ પાવડર અને રિમોટ જેવી વસ્તુઓની વ્યવસ્થા માત્ર ઉમર જ કરતો હતો. બાદમાં મુઝમ્મિલ અને ઉમર વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો. મુઝમ્મિલ ઇચ્છતો હતો કે કાં તો તેને પૈસા પાછા મળે અથવા તો IEDનો સંપૂર્ણ સ્ટોક તેની કસ્ટડીમાં હોય. જૂથના બાકીના લોકોએ બીજો વિકલ્પ પસંદ કર્યો અને બધો સામાન મુઝમ્મિલ પાસે આવી ગયો, જે તેની ધરપકડ સમયે મળી આવ્યો. ઇન્ટરોગેશન રિપોર્ટ મુજબ, પૈસાને લઈને થયેલા વિવાદના કારણે આતંકી હુમલામાં વિલંબ થયો.
શાહીનની ગાડીમાંથી મળ્યા હથિયાર
વિવાદ ઉકેલવા માટે ઉમરે લગભગ 3 મહિના પહેલાં સોશિયલ મીડિયા એપ 'સિગ્નલ' પર એક ગ્રુપ બનાવ્યું, જેમાં મુઝમ્મિલ, આદિલ, મુઝફ્ફર અને ઇરફાનને જોડવામાં આવ્યા, તેમ છતાં ઝઘડો ઉકેલાયો નહીં. આતંકી શાહીનની ગાડીમાંથી 1 ક્રિંકોવ રાઇફલ અને 1 પિસ્તોલ મળી. આ હથિયારો પણ ઉમરે જ વર્ષ 2024માં ઇરફાનને આપ્યા હતા. બાદમાં ઝઘડાના કારણે મુઝમ્મિલ આ હથિયારો પણ પોતાના કબજામાં લઈ લીધા હતા. જણાવી દઈએ કે મુઝમ્મિલને અલ-ફલા હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી ડિપાર્ટમેન્ટમાંથી ડ્યુટી દરમિયાન જ પકડી લેવામાં આવ્યો હતો.