)
નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તે રવિવાર, 11 ઓગસ્ટે બપોરે 3 કલાકે નવી દિલ્હીના રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરશે. આ જાણકારી ચૂંટણી પંચના ડાયરેક્ટર જનરલ (મીડિયા) દ્વારા આપવામાં આવી છે. આ પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારી મહત્વપૂર્ણ જાહેરાતો અને અપડેટ આપી શકે છે, જે આગામી ચૂંટણી અને મતદાતા યાદી સંશોધન સાથે સંબંધિત હોઈ શકે છે.
આ સિવાય વોટ ચોરીના ગંભીર આરોપોથી ઘેરાયેલું ચૂંટણી પંચ આ આરોપો પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે. હકીકતમાં આ પત્રકાર પરિષદ તેવા સમયે યોજાઈ રહી છે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણીમાં મત ચોરીના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. વિપક્ષે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
ચૂંટણી પંચ પર લાગ્યા ગંભીર આરોપ
છેલ્લા કેટલાક મહિનામાં વિશેષ કરી 2024ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષી દળોએ મતદાતા યાદીમાં વ્યાપક અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કર્ણાટકના બેંગલુરૂ મધ્ય લોકસભા સીટની મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રનો હવાલો આપતા દાવો કર્યો કે લગભગ 1,00,250 મતની ચોરી થઈ. તેમણે મતદાર યાદીમાં ડુપ્લીકેટ વોટર, ખોટા સરનામા અને એક જ સરનામા પર અનેક મતદાતાના નામ હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. રાહુલે તે પણ કહ્યું કે જો આ ગેરરિતી ન થઈ હોત તો કર્ણાટકમાં કોંગ્રેસ 16 લોકસભા સીટ જીતી હોત, પરંતુ તેને માત્ર 9 સીટ મળી છે.
આ સિવાય રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં પણ મતદાર યાદીમાં ગેરરિતીનો દાવો કર્યો, જેમાં પાંચ મહિનામાં અસામાન્ય રૂપથી લાખો મતદાતાના નામ જોડવાની વાત કહેવામાં આવી હતી. તેમણે ચૂંટણી પંચ પર ભાજપ સાથે મળી મિલીભગતનો આરોપ લગાવ્યો અને માંગ કરી કે પંચ ડિજિટલ અને મશીન-રીડેબલ મતદાતા યાદી જાહેર કરે.
ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે કયા મુદ્દે પત્રકાર પરિષદ યોજાશે તે વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ કોંગ્રેસ પાર્ટી દ્વારા લગાવવામાં આવી રહેલા વોટ ચોરીના આરોપ પર જવાબ આપી શકે છે.