પાકના ડ્રોન ષડયંત્ર બાદ ભારતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી છે. સરકારે 24 એરપોર્ટ પર 15 મે સુધી સિવિલ ઉડાનો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

India Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશના 24 એરપોર્ટને 15 મેની સવારે 5.20 કલાક સુધી સિવિલ ઉડાનો માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા 10 મે સુધી આ પ્રતિબંધ લાગૂ હતો, પરંતુ ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ આ નિર્ણય વધારવામાં આવ્યો છે. બંધ કરવામાં આવેલા એરપોર્ટમાં ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, ભુંતર, કિશનગઢ, પઠાણકોટ, શિમલા, જૈસલમેર, જમ્મુ, બીકાનેર, લેહ, પોરબંદર, પટિયાલા જેવા શહેર સામેલ છે.
Operation Sindoor Live
એરલાયન્સે પણ જાહેર કરી એડવાઇઝરી
એર ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢ, ભુજ, જામનગર અને રાજકોટથી આવતી-જતી તમામ ફ્લાઇટ્સ 15 મે સવારે 5.29 કલાક સુધી રદ્દ કરવામાં આવે છે. આ ટિકિટો પર રી-શેડ્યુલિંગ કે કેન્શલેશન પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. તો ઈન્ડિગોએ જાહેરાત કરી કે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, બીકાનેર, જોધપુર, કિશનગઢ અને રાજકોટની ઉડાનો 15 મે સવારે 5.30 કલાક સુધી રદ્દ રહેશે.
દિલ્હી એરપોર્ટ પર પણ અસર
શુક્રવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 66 સ્થાનિક પ્રસ્થાન અને 63 આગમન ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ ઉપરાંત, 5 આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન અને 4 આંતરરાષ્ટ્રીય આગમનને પણ અસર થઈ હતી. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, "દિલ્હી એરપોર્ટ પર કામગીરી સામાન્ય હોવા છતાં, સુરક્ષા પગલાંને કારણે કેટલીક ફ્લાઇટ્સ મોડી અથવા રદ થઈ શકે છે."