કોરોના બાદ આ વાયરસે ચિંતા વધારી, 120 લોકોને ઘરમાં આઈસોલેટ કરાયા, વાયરસની કોઈ રસી-સારવાર નથી
Nipah Virus West Bengal: કોરોના બાદ વધુ એક વાયરસે ચિંતા વધારી છે. પશ્ચિમ બંગાળમાં બે નસોમાં નિપાહ વાયરસની પુષ્ટિ થઈ અને હવે તેમના સંપર્કમાં આવેલા 120 લોકો પણ નિગરાણીમાં રાખવામાં આવ્યા છે. જાણો આ વાયરસ કેમ જોખમી ગણાઈ રહ્યો છે?
Trending Photos
)
દેશમાં એકવાર ફરીથી નિપાહ વાયરસે ચિંતા વધારી છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બારાસાત હોસ્પિટલમાં કામ કરતી બે નસોમાં નિપાહ વાયરસની પુષ્ટિ થઈ છે. પુણે સ્થિત NIVએ બંગાળથી આવેલા બે સેમ્પલમાં સંક્રમણની પુષ્ટિ કરી છે. આ અગાઉ આ સેમ્પલનીની તપાસ એમ્સ કલ્યાણીમાં કરાઈ હતી.
નર્સની હાલત નાજુક
હોસ્પિટલમાં બને દર્દીઓ વેન્ટિલેટર પર છે. એક મહિલા નર્સ કોમામાં છે. બંનેની સારવાર જ્યાં તેઓ કામ કરતા હતા તે બારાસાત હોસ્પિટલમાં ચાલુ છે. ડોક્ટરોનું કહેવું છે કે તમામ જરૂરી નિયમોમું કડકાઈથી પાલન થઈ રહ્યું છે. નિપાહ વાયરસની ગંભીરતા અને તેના વધુ મોતનો દર ચિંતાનું કારણ બનેલો છે.
120થી વધુ લોકો સંપર્કમાં આવ્યા
સ્વાસ્થ્ય વિભાગે એવા 120 લોકોની ઓળખ કરી છે જે આ બંને નસોના સંપર્કમાં આવ્યા હતા. તમામ લોકોને હોમ આઈસોલેશનમાં રખાયા છે. આઈસોલેશનમાં રાખવામાં આવેલા લોકોમાં નર્સોના પરિવારના સભ્યો પણ સામેલ છે. અનેક ડોક્ટરો, નર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પણ નિગરાણી હેઠળ છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પણ થઈ રહ્યું છે. આ આંકડો વધી પણ શકે છે. પૂર્વ બર્દવાન સ્વાસ્થ્ય વિભાગ મુજબ કટવાથી 10 લોકો જેમાં 2 ડોક્ટરો પણ સામેલ છે તેમને ઘરથી અલગ રહેવા જણાવ્યું છે. જ્યારે બર્દવાનથી 38 લોકો જેમાં 8 ડોક્ટરો સામેલ છે.
સંક્રમણ ક્યાંથી આવ્યું તે સ્પષ્ટ નથી
અધિકારીઓનું કહેવું છે કે આ ચેપ કેવી રીતે ફેલાયો તે હજુ સુધી સ્પષ્ટ નથી. તે માણસથી માણસમાં ફેલાઈ શકે છે કે પછી સંક્રમિત ફળ કે કાચા ખજૂરના રસથી વાયરસ ફેલાયો હોઈ શકે છે. સૂત્રના જણાવ્યાં મુજબ બારાસાત હોસ્પિટલનો એક સ્વાસ્થ્યકર્મી થોડા અઠવાડિયા પહેલા નિપાહ વાયરસ જેવા લક્ષણો બાદ મરી ગયો હતો. ત્યાંથી આ સંક્રમણ આવ્યું હોઈ શકે છે.
કાચા ખજૂરના રસથી પણ જોખમ
વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ શિયાળામાં ગામડાઓમાં લોકો કાચા ખજૂરનો રસ પીવે છે. આ રસ પર ફળ ખાનારા ચામાચિડિયા બેસતા હોય છે. ચામાચિડિયા નિપાહ વાયરસને ફેલાવે છે એવું માનવામાં આવે છે.
ભારતમાં ક્યારે આવ્યો પહેલો કેસ
ભારતમાં નિપાહ વાયરસનો પહેલો કેસ 2001માં સિલિગુડીમાં આવ્યો હતો. 2007માં નદીઆ જિલ્લામાં બીજો કેસ જોવા મળ્યો હતો. 2018થી કેરળમાં આ વાયરસના અનેક કેસ સામે આવી ચૂક્યા છે અને હવે પશ્ચિમ બંગાળમાં પણ 2 કેસ સામે આવ્યા છે. ઝારખંડ સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરેલું છે.
કેમ જોખમી છે નિપાહ વાયરસ
નિપાહ વારસથી મોતનો દર 40થી 75 ટકા સુધી માનવામાં આવે છે. હજુ સુધી આ વાયરસની કોઈ અસરકારક દવા કે વેક્સીન બની શકી નથી. તે દિમાગ પર અસર પાડે છે અને લાંબા સમય સુધી તમારા માટે પરેશાની છોડી શકે છે.
બચવા માટે શું કરવું
નિપાહ વાયરસથી બચવા માટે નીચે પડેલા ફળ ન ખાવા જોઈએ. કાચા ખજૂરનો રસ પીવાથી બચવું કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે. તાવ કે વિચિત્ર લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














