)
India Per Capita Income 2047: આજે જે ભારત એક ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાઈ રહ્યું છે, તે જ ભારત 2047 સુધીમાં આર્થિક શક્તિનું નવું ઉદાહરણ બનવા જઈ રહ્યું છે. ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ સફળતા એટલા માટે મળી કારણ કે દેશમાં એવા આર્થિક નિર્ણયો લેવામાં આવ્યા જેનાથી બજારને મોકળાશ મળી, વેપાર વધ્યો અને ખાનગી રોકાણને આગળ આવવાની તક મળી. પરંતુ આગામી વર્ષોમાં દેશની કમાણી, લોકોની આવક અને જીવનધોરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
2047 સુધીમાં કેટલી હોઈ શકે છે માથાદીઠ આવક?
જો ભારતીય અર્થવ્યવસ્થા આગામી બે દાયકા સુધી સરેરાશ 6 ટકાની ગતિએ આગળ વધે છે, તો નાણાકીય વર્ષ 2047-48 સુધીમાં દેશની માથાદીઠ આવક લગભગ 15,000 ડોલર સુધી પહોંચી શકે છે. જો આ રકમને ભારતીય રૂપિયામાં જોઈએ તો તે વાર્ષિક અંદાજે 13 થી 15 લાખ રૂપિયાની આસપાસ થાય છે. હાલના સમયમાં માથાદીઠ આવક લગભગ 2.5 લાખ રૂપિયા છે, એટલે કે, આગામી વર્ષોમાં તેમાં અંદાજે 6 ગણો વધારો થવાનો અંદાજ છે.
GDPમાં પણ આવશે મોટો ઉછાળો
રેટિંગ એજન્સી અર્ન્સ્ટ એન્ડ યંગ (EY)ના રિપોર્ટ અનુસાર, ભારતની કુલ જીડીપી 2047-48 સુધીમાં વધીને 26 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. હાલ દેશની GDP લગભગ 4.18 ટ્રિલિયન ડોલરની આસપાસ છે. આનો અર્થ એ છે કે આગામી 21-22 વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ અનેકગણું વધી શકે છે. આ વૃદ્ધિ ભારતને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની હરોળમાં વધુ મજબૂતીથી ઊભું કરી દેશે.
ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ
EYના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત 2030 સુધીમાં અમેરિકા અને ચીન પછી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આવી સ્થિતિમાં જાપાન અને જર્મની જેવી મજબૂત અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી દેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ક્યાંથી મળી રહી છે ભારતને શક્તિ?
ભારતની આર્થિક મજબૂતી પાછળ ઘણા મોટા કારણો છે, જેમ કે દેશની યુવા વસ્તી, ઝડપથી વધતી ડિજિટલ ઈકોનોમી, મજબૂત સ્ટાર્ટઅપ સિસ્ટમ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં થઈ રહેલો વિસ્તાર, ગ્રીન એનર્જી પર વધતું ફોકસ વગેરે. આ ઉપરાંત આર્થિક ઉદારીકરણની નીતિઓ અને ખાનગી રોકાણમાં પ્રોત્સાહન આપ્યું છે અને ભારતને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવ્યું છે.
સામાન્ય લોકોના જીવનમાં શું બદલાશે?
જ્યારે માથાદીઠ આવક વધશે, ત્યારે તેની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડશે. વધુ સારી આવકને કારણે શિક્ષણ, આરોગ્ય, આવાસ અને સુવિધાઓ પર ખર્ચ વધશે. સાથે જ રોજગારીની નવી તકો ઊભી થશે અને જીવનધોરણમાં મોટો સુધારો જોવા મળી શકે છે.