)
કાઠમંડુઃ નેપાળમાં Gen-Z આંદોલન દરમિયાન ગાઝિયાબાદના એક પરિવારની ધાર્મિક યાત્રા ત્રાસદીમાં ફેરવાઈ ગઈ. હકીકતમાં આ પરિવાર કાઠમંડુની જે લક્ઝરી હોટલમાં રોકાયો હતો, તેમાં પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે ઘણા ભારતીય પર્યટકો ત્યાં ફસાયા છે.
રામવીર સિંહ ગોલા (58) અને તેમના પત્ની રાજેશ ગોલા 7 સપ્ટેમ્બરે પશુપતિનાથ મંદિરના દર્શન માટે કાઠમંડુ ગયા હતા, પરંતુ 9 સપ્ટેમ્બરની રાત્રે હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓ રોકાયા હતા તે ફાઇવ સ્ટાર હોટલમાં આગ લગાવી દેવામાં આવી.
8 સપ્ટેમ્બરે શરૂ થયું હતું વિરોધ પ્રદર્શન
Gen-Z પ્રદર્શન 8 સપ્ટેમ્બરે કાઠમંડુ સહિત દેશના અલગ-અલગ વિસ્તારમાં શરૂ થયું હતું, ત્યારબાદ આ પ્રદર્શન હિંસક બની ગયું. પ્રદર્શનકારીઓની માંગ હતી કે સરકાર સોશિયલ મીડિયામાંથી પ્રતિબંધ હટાવે. પ્રદર્શનકારીઓએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને આંદોલન હિંસક બનતા ઘણી સરકારી અને ખાનગી ઇમારતો પર આગ લગાવી દેવામાં આવી હતી.
કઈ રીતે થયું મહિલાનું મોત?
સંબંધીઓ અનુસાર રામવીર ગોલા અને તેની પત્ની રાજેશ ગોલા હોટલમાં ઉપરના ફ્લોર પર રોકાયા હતા, જ્યારે પ્રદર્શનકારીઓએ નીચલા માળે આગ લગાવી દીધી. તેનાથી ગભરાઈ રામવીરે પોતાના પત્નીને પડદાની મદદથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ત્યાંથી લપસી ગયા અને રાજેશને ગંભીર ઈજા પહોંચી હતી. વધુ લોહી વહી જવાને કારણે હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું મોત થઈ ગયું. શુક્રવારે પરિવારના સભ્યો મૃતકનો મૃતદેહ ગાઝિયાબાદ સ્થિત પોતાના નિવાસ્થાને લાવ્યા હતા.
રાજેશ ગોલાના પુત્ર વિશાલે કહ્યું- ભીડે હોટલ પર હુમલો કર્યો અને આગ લગાવી દીધી. સીડીઓ પર ધૂમાડો ભરાયો તો મારા પિતાએ બારીનો કાચ તોડી દીધો. ચાદર બાંધી અને ગાદલા પર કૂદી ગયા. પરંતુ મારા માતા નીચે ઉતરવાના પ્રયાસમાં લપસી ગયા અને પડી જવાને કારણે તેમનું મોત થયું.